હાલમાં ભારતીય ક્રિકેટમાં BCCI અને વિરાટ કોહલી (Virat Kohli) વચ્ચેની ખેંચતાણનો મુદ્દો ચર્ચાનો વિષય છે. હવે ભારતના પૂર્વ ક્રિકેટર મદન લાલે પણ આ વિષય પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેમણે તેને વિવાદ નહીં પરંતુ મતભેદ ગણાવ્યો છે. વિરાટ કોહલીને ODI સુકાનીપદેથી હટાવ્યા બાદ, BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ (Sourav Ganguly) એક ન્યુઝ એજન્સીને કહ્યું હતુ કે તેણે કોહલીને આ અંગે જાણ કરી હતી. તેણે T20ની કેપ્ટનશીપ ન છોડવાની પણ વિનંતી કરી હતી.
જોકે, કોહલીએ સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, તેને ક્યારેય T20ની કેપ્ટનશીપ છોડવા માટે ના કહેવામાં આવી નહોતી. હવે આ તફાવત પર ભારતના પૂર્વ ક્રિકેટર મદન લાલ (Madan Lal) નું નિવેદન સામે આવ્યું છે.
મદન લાલે મીડિયા રિપોર્ટમાં કહ્યું કે, મને લાગે છે કે પરિસ્થિતિને વધુ સારી રીતે હેન્ડલ કરવી જોઈએ. કારણ કે, આ કોઈ વિવાદ નથી, આ એક વૈચારિક તફાવત છે. મને ખબર નથી કે સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલીને શું કહ્યું અને હું તેના પર ટિપ્પણી પણ કરવા માંગતો નથી. પરંતુ, મને લાગે છે કે બીસીસીઆઈના અધ્યક્ષ તરીકે સૌરવ ગાંગુલીએ આગળ વધીને ખુલીને ખુલાસો કરવો જોઈએ, જેથી આ સમગ્ર મામલાનો અંત લાવી શકાય. તેમણે કહ્યું કે આ બધું છોડીને આપણે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, જ્યાં અમારે કેટલીક મહત્વપૂર્ણ મેચો રમવાની છે.
આગળ મદન લાલે કહ્યું કે તેઓ સુનીલ ગાવસ્કરના નિવેદન સાથે પણ સહમત છે, જેમાં તેમણે કહ્યું હતું કે કોહલીના મેનેજમેન્ટ સાથે તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ.
તેમણે કહ્યું, ગાવસ્કર તેના અભિપ્રાય વિશે સાચા છે. વિરાટે મેનેજમેન્ટ સાથે વાત કરીને સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. આ કોઈ મોટી વાત નથી. મને લાગે છે કે પસંદગીકારો પણ આ મુદ્દાને સારી રીતે ઉકેલશે. પસંદગીકારોનું કામ છે કે તેઓ આવા વિવાદોને વધતા અટકાવે અને આ બાબતનું ખાસ ધ્યાન રાખે. મને ખબર નથી કે પસંદગીકારોએ નિર્ણય લેતા પહેલા વિરાટ સાથે વાત કરી છે કે નહીં.
Published On - 8:24 am, Sat, 18 December 21