BCCI એ ટીમ ઈન્ડિયાથી આપી રજા, કેએલ રાહુલ આ દીવસે અથિયા શેટ્ટી સાથે લગ્નના બંધને બંધાશે
શુક્રવારે રાત્રે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ન્યુઝીલેન્ડ સામેની ટી20 અને વનડે સિરીઝ તેમજ ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમનુ એલાન કર્યુ હતુ. જેમાં રાહુલ અને અક્ષર પટેલને રજા અપાઈ હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ઘરેલુ વ્હાઈટ બોલ સિરીઝ માટે સ્ક્વોડ જાહેર કરવામાં આવી હતી. પહેલા ન્યુઝીલેન્ડ અને બાદમાં ઓસ્ટ્રેલિયાની ટીમ ભારત પ્રવાસે આવનાર છે. ન્યુઝીલેન્ડ સામેની વનડે અને T20 સિરીઝ તથા ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયા ની ઘોષણા શુક્રવારે રાત્રે કરવામાં આવી છે. જેમાં કેએલ રાહુલ અને અક્ષર પટેલને પારિવારીક કારણોસર કરાયેલી વિનંતીનુસાર રજા આપવાનુ દર્શાવવામાં આવ્યુ હતુ. મીડિયા રિપોર્ટનુસાર કેએલ રાહુલ એક સપ્તાહ બાદ લગ્ન કરવાનો છે અને જે માટે આ રજાઓ તેણે લીધી છે.
કેએલ રાહુલ બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટી સાથે આગામી 23 જાન્યુઆરીએ લગ્નના ફેરા ફરશે. જે માટે તેણે આ રજાઓ મંજૂર કરાવી હોવાનુ પહેલાથી જ મીડિયામાં ચર્ચાઈ રહ્યુ છે. જોકે આ અંગે તેણે કોઈ જ ફોડ પાડ્યો નથી.
ખંડાલામાં યોજાઈ શકે છે લગ્ન કાર્યક્રમ
મીડિયા રિપોર્ટસ મુજબ આગામી 23 જાન્યુઆરીએ લગ્ન સમારોહને લઈ લગતા કાર્યક્રમ ખંડાલામાં યોજાઈ શકે છે. જેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પણ ઉપસ્થિત રહી શકે છે. સાથે જ બોલીવુડના સ્ટારની હાજરી જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી તેમજ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ઉપસ્થિત રહી શકે છે. આ સ્ટાર ક્રિકેટરો પરીવાર સાથે નવદંપતીને આશિર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના રિપોર્ટ્સ છે. રોહિત અને વિરાટ આ બંને સ્ટાર ખેલાડીઓ T20 ક્રિકેટ ટીમનો હિસ્સો નથી. આવામાં તેઓ લગ્નમાં હાજરી આપવા માટે સમય નિકાળી શકે છે.
ઓસ્ટ્રેલિયા સામે મેદાને ઉતરશે
અથિયા સાથે લગ્ન કર્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ વેળા ટીમ ઈન્ડિયા સાથે કેએલ રાહુલ જોડાશે. રાહુલ આ દરમિયાન વાઈસ કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની 2 ટેસ્ટ મેચ માટેની ભારતીય ટીમ બીસીસીઆઈએ જાહેર કરી હતી. જેમાં કેએલ રાહુલને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપી છે. નિયમીત કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડીયાનુ સુકાન સંભાળશે અને રાહુલ તેનો ડેપ્યુટી રહેશે.
ભારત માટે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વની છે. 4 ટેસ્ટ મેચોની સિરીઝ ભારત માટે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ફાઈનલનુ સ્થાન નક્કી કરશે. આ માટે ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ઓછામાં ઓથી 3 મેચોમાં હાર આપવી જરુરી છે. આ પહેલા કેએલ રાહુલ તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વનડે મેચનો હિસ્સો હશે. 3 મેચની વનડે સિરીઝની આ અંતિમ વનડે મેચ છે અને જે બાદ તે ટીમ ઈન્ડિયાથી રજાઓ પર અલગ થશે.