ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team) ને તાજેતરમાં ભારત (Team India) સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટમાં ટીમે જોરદાર રમત બતાવીને હાર ટાળી હતી, પરંતુ બીજી મેચમાં ટીમ હાર ટાળી શકી નહોતી. ટીમનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન (Kane Williamson) કોણીની ઈજાને કારણે આ મેચમાં રમ્યો ન હતો. હવે ન્યુઝીલેન્ડની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
ન્યુઝીલેન્ડના કોચ ગેરી સ્ટેડે (Gary Stead) કહ્યું કે કોણીની ઈજાના કારણે કેપ્ટન કેન વિલિયમસન ઓછામાં ઓછા બે મહિના સુધી રમતથી દૂર રહી શકે છે. કેનની કપ્તાની હેઠળ તે જ વર્ષે ન્યુઝીલેન્ડે ભારતને હરાવીને ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું હતું.
એક અહેવાલ મુજબ, વિલિયમસન આવતા વર્ષે 17 ફેબ્રુઆરીથી ક્રાઈસ્ટચર્ચમાં દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણી માટે વાપસી કરે તેવી શક્યતા છે. ભારત સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસે સવારે આ ઈજાના કારણે વિલિયમસન ટીમની બહાર થઈ ગયો હતો. સ્ટેડે મંગળવારે પુષ્ટિ કરી કે તેને સંપૂર્ણ સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા આઠ કે નવ અઠવાડિયા લાગશે. તેણે કહ્યું કે તેને કદાચ સર્જરીની જરૂર નથી.
સ્ટીડે કેપ્ટનની ઈજા વિશે કહ્યું, કેન ટૂંક સમયમાં સાજો થઈ જશે. છેલ્લી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પછી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પહેલા તેને આવી ઈજામાંથી સાજા થવામાં આઠથી નવ અઠવાડિયા લાગ્યા હતા. મને આશા છે કે આ વખતે ફરી એટલો જ સમય લાગશે. અમે આ સમયે સમય મર્યાદા નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યા નથી.
1 જાન્યુઆરીથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણીમાં ન્યૂઝીલેન્ડ બાંગ્લાદેશ સામે ટકરાશે. ત્યારપછી ટીમ 30 જાન્યુઆરીથી 8 ફેબ્રુઆરી સુધી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડે અને એક T20 ઈન્ટરનેશનલ મેચ રમશે. આ પછી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. સ્ટેડે કહ્યું, મને લાગે છે કે સર્જરીની જરૂર નહીં પડે. કેન માટે આ મુશ્કેલ સમય છે, તેને ન્યુઝીલેન્ડ માટે રમવું પસંદ છે. તેને માત્ર ટેસ્ટ જ નહીં, દરેક ફોર્મેટમાં ન્યૂઝીલેન્ડનું પ્રતિનિધિત્વ કરવાનું પસંદ છે.
Published On - 8:55 am, Wed, 8 December 21