Jasprit Bumrah ના મામલે BCCI અધ્યક્ષે આપ્યુ મોટુ અપડેટ-સૌરવ ગાંગુલીએ કહ્યુ-ઉતાવળ ના કરો
BCCI હાલમાં જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ને લઈને રાહ જુઓ અને જુઓની રણનીતિ અપનાવી રહી છે અને ટૂર્નામેન્ટ નજીક આવતાં જ અંતિમ નિર્ણય લેશે.
વર્તમાન સમયમાં ભારતીય ક્રિકેટ ટીમ અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની ચર્ચા તેમાં ન થાય, તે શક્ય નથી. T20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) પહેલા પણ બુમરાહને લઈને ચર્ચા છે. ફરક માત્ર એટલો જ છે કે આ વસ્તુઓ ભારતીય ટીમ કે પ્રશંસકોને ખુશ કરવાની નથી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે તે T20 વર્લ્ડ કપ નહીં રમે. જો કે BCCI તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ પ્રથમવાર ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ તેના પર પ્રતિક્રિયા આપી છે.
ભારતીય બોર્ડે શુક્રવાર 30 સપ્ટેમ્બરે માત્ર આ માહિતી આપી હતી કે પીઠની સમસ્યાને કારણે અનુભવી ફાસ્ટ બોલર દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણીમાં રમી શકશે નહીં. બોર્ડે તેમના સ્થાને મોહમ્મદ સિરાજનો સમાવેશ કર્યો છે. આવી સ્થિતિમાં, બુમરાહની ઈજા અને તેની ઉપલબ્ધતા અંગે પ્રશ્ન રહે છે અને માનવામાં આવે છે કે બીસીસીઆઈ આગામી કેટલાક દિવસો સુધી તેની ફિટનેસ જોયા પછી જ નિર્ણય લેશે.
ઉતાવળ નહી રોહ જોવી યોગ્ય રહેશે
સમાચાર એજન્સી પીટીઆઈએ એક દિવસ પહેલા જ પોતાના રિપોર્ટમાં કહ્યું હતું કે બુમરાહની ઈજા એટલી ગંભીર છે કે તેને તેમાંથી સાજા થવામાં 4 થી 6 મહિનાનો સમય લાગી શકે છે. બીસીસીઆઈએ આવું કંઈ કહ્યું નથી પરંતુ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીના રુપમાં પહેલીવાર કોઈ અધિકારીએ આ મુદ્દે ખુલીને કહ્યું છે. ગાંગુલીએ કહ્યું કે વર્લ્ડ કપને હજુ કેટલોક સમય છે અને તેથી ઉતાવળમાં નિર્ણય લેવામાં આવશે નહીં.
શુક્રવારે એક મીડિયા અહેવાલ મુજબ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલીએ તેમની સાથે વાત કરતા કહ્યું કે, બુમરાહ હજુ ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થયો નથી. વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ સમય છે. આપણે થોડીવાર રાહ જોવી જોઈએ અને ઉતાવળમાં કંઈ ન કહેવુ જોઈએ.
દ્રવિડે પણ આવું નિવેદન આપ્યું હતું
રવિન્દ્ર જાડેજાની ઈજા વખતે પણ આવી જ કેટલીક ઘટના બની હતી. એશિયા કપ દરમિયાન સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને જમણા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. આ પછી સમાચાર આવ્યા કે જાડેજા વર્લ્ડ કપમાં પણ નહીં રમે. જો કે, તે દરમિયાન કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું હતું કે વર્લ્ડ કપને સમય છે અને જાડેજાને બહાર કરી શકાય નહીં.
અંતમાં રવિન્દ્ર જાડેજા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ભારતીય ટીમ અને પ્રશંસકોને આશા હશે કે જસપ્રીત બુમરાહના કિસ્સામાં સ્થિતિ અલગ હશે અને તે ફિટ થઈને ટીમમાં વાપસી કરશે. બુમરાહ અને જાડેજાના કિસ્સામાં તફાવત એ છે કે બુમરાહને આ સમસ્યામાંથી બહાર આવવા માટે માત્ર આરામની જરૂર છે, જ્યારે જાડેજાને ઘૂંટણની ઈજા માટે સર્જરીની જરૂર છે.