ભારતીય ક્રિકેટના અનુભવી વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) છેલ્લા કેટલાક મહિનાઓથી ખૂબ ચર્ચામાં છે. સામાન્ય રીતે લાઈમ-લાઈટ અને સમાચારોથી દૂર રહેતો સાહા તાજેતરમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ પત્રકાર બોરિયા મજમુદારની ધમકીઓ અને હવે આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) માટે તેના શાનદાર પ્રદર્શનને કારણે ચર્ચામાં રહ્યો છે. હવે ફરી એકવાર તેને લઇને ચર્ચાએ વેગ પકડી છે. કારણ કે મળી રહેલ માહિતી પ્રમાણે આઈપીએલમાં નોકઆઉટ મેચ પહેલા પોતાની ટીમ છોડવાની તૈયારી કરી રહ્યો છે. તે ટીમમાં ફેરફાર કરવા માંગે છે.
રિદ્ધીમાન સાહાના આ સંભવિત આઘાતજનક નિર્ણય વિશે તમે તમારા વિચારોમાં ખૂબ આગળ વધો તે પહેલાં ચાલો અમે તમને અહીં સ્પષ્ટ કરીએ કે આ IPL 2022 નોકઆઉટ અને ગુજરાત ટાઈટન્સ વિશે નથી. IPL 2022ના નોકઆઉટમાં પહોંચનાર ગુજરાત ટાઈટન્સ હાલમાં એકમાત્ર ટીમ છે. પરંતુ આ સિવાય એક એવી ટીમ છે, જેની સાથે રિદ્ધીમાન સાહાનો જુનો સંબંધ છે અને આ ટીમ પણ થોડા દિવસોમાં નોકઆઉટ મેચ રમવા જઈ રહી છે.
આ બંગાળ ક્રિકેટ ટીમ છે. રિદ્ધિમાન સાહાની હોમ સ્ટેટ ટીમ જેના માટે તે તેની કારકિર્દીની શરૂઆતથી સતત ક્રિકેટ રમ્યો છે. 37 વર્ષીય સાહા હવે ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ સાથેના સંબંધો તોડવાની તૈયારી કરી રહ્યો છે. સ્પોર્ટ્સની એક વેબસાઈટના અહેવાલ મુજબ સિનિયર વિકેટકિપર બંગાળ ક્રિકેટ સાથેના તમામ સંબંધો તોડવા માટે ગંભીરતાથી વિચારી રહ્યો છે અને ટૂંક સમયમાં જ CAB તરફથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે.
આ બધું એવા સમયે થયું છે જ્યારે બંગાળ ક્રિકેટ ટીમ આવતા મહિને યોજાનારી રણજી ટ્રોફી નોકઆઉટ રાઉન્ડમાં પોતાનો દાવો રજૂ કરશે. આ ક્વાર્ટર ફાઈનલ મેચ માટે CABએ સોમવારે જ પોતાની ટીમની જાહેરાત કરી હતી, જેમાં સાહા પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જો કે સાહા આ ટીમનો ભાગ બનવા માંગતો નથી. જેણે CABને મુશ્કેલીમાં મૂક્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ રિદ્ધીમાન સાહાએ રણજી ટ્રોફીના ગ્રુપ સ્ટેજ માટે પોતાને અનુપલબ્ધ કરી દીધા હતા. અહેવાલ મુજબ નોકઆઉટ રાઉન્ડ માટે તેની ઉપલબ્ધતા અંગે સાહાનો CAB સાથે કોઈ સ્પષ્ટ સંવાદ ન હતો અને તેથી એસોસિએશનના પસંદગીકારોએ તેને ટીમમાં સામેલ કર્યો હતો.
રિપોર્ટ અનુસાર ગ્રુપ સ્ટેજ માટે ઉપલબ્ધ ન હોવાને કારણે CABના કેટલાક અધિકારીઓ દ્વારા ટીમ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જેના કારણે અનુભવી વિકેટકીપર બેટ્સમેન નારાજ છે. જો કે સાહાએ હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી અને IPL સિઝન સમાપ્ત થયા પછી CAB અધિકારીઓ આ મુદ્દે તેની સાથે વાત કરવાની તૈયારી કરી રહ્યા છે.