કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન શ્રેયસ અય્યર (KKR Captain Shreyas Iyer) માટે છેલ્લા કેટલાક દિવસો વિચિત્ર રહ્યા છે. IPL 2022 માં પ્લેઓફની રેસ માટે લડી રહેલી ટીમે સતત બે મેચ જીતી છે અને તેના કારણે ટીમમાં ખુશીનો માહોલ છે. પરંતુ આનાથી પણ વધારે તે પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે, જેણે ટીમની કાર્યશૈલી પર સવાલો ઉભા કર્યા છે. શ્રેયસે ગત મેચમાં મુંબઈને હરાવ્યા બાદ ટીમ સિલેક્શનમાં KKRના CEO વેંકી મૈસૂર (KKR CEO Venky Mysore) ની ભૂમિકા વિશે નિવેદન કરીને પોતાને અને ફ્રેન્ચાઈઝીને મુશ્કેલીમાં મૂક્યા હતા. હવે કોલકાતા (Kolkata Knight Riders) ના કેપ્ટને આ વિવાદ પર પ઼ડદો પાડવાના પ્રયાસમાં સ્પષ્ટતા આપી છે.
શ્રેયસ અય્યરે 9 મેના રોજ ડીવાય પાટિલ સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યા બાદ પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા હતા. મેચ બાદ શ્રેયસે કહ્યું હતું કે ટીમ સિલેક્શનમાં દરેક જણ સામેલ છે, જેમાં ફ્રેન્ચાઈઝીના સીઈઓ પણ સામેલ છે. શ્રેયસનું આ નિવેદન તે સવાલના જવાબમાં આવ્યું છે જે આ સિઝનમાં KKR ની ટીમ સિલેક્શન પર હતો. આ ટીમે IPL 2022 માં સૌથી વધુ વખત તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યો છે.
જો કે, શ્રેયસના નિવેદનના કલાકો પછી, ફ્રેન્ચાઇઝી સૂત્રોએ જણાવ્યું હતું કે કેકેઆરના કેપ્ટનના શબ્દોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે અને સીઇઓ ક્યારેય પ્લેઇંગ ઇલેવનની પસંદગીમાં ભાગ લેતા નથી. આવી સ્થિતિમાં શ્રેયસે પોતે શનિવારે ખુલાસો રજૂ કર્યો હતો.
હૈદરાબાદને હરાવ્યા બાદ શ્રેયસે કહ્યું, છેલ્લી મેચ પછી, જ્યારે મેં કહ્યું કે CEO ટીમની પસંદગીમાં સામેલ છે, તો મારો મતલબ હતો કે તે પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રહેલા ખેલાડીઓને પ્રોત્સાહિત કરે છે. હાલમાં, KKR માત્ર આશા રાખશે કે આ વિવાદનો અહીં અંત આવે અને ટીમ તેની છેલ્લી મેચ પણ જીતીને પ્લેઓફ માટે ક્વોલિફાય કરે.
જ્યાં સુધી હૈદરાબાદ સામે ટીમના પ્રદર્શનની વાત છે તો કેપ્ટને ખેલાડીઓની સાથે સાથે આન્દ્રે રસેલની માનસિકતાની પણ પ્રશંસા કરી હતી. અય્યરે મેચ બાદ કહ્યું, મને લાગે છે કે અમે યોગ્ય માનસિકતા સાથે મેદાન પર આવ્યા છીએ. તમામ ખેલાડીઓ સારી રીતે રમ્યા અને પૂણેની આ પીચ પર ટોસ જીતવો જરૂરી હતો. અમે રસેલને વધુ સ્ટ્રાઈક આપવા માગતા હતા. અમે જાણતા હતા કે વોશિંગ્ટન (સુંદર) પાસે એક ઓવર છે અને અમે ઈચ્છતા હતા કે રસેલ અંત સુધી રહે. હૈદરાબાદ સામે 177 રનનો સ્કોર સારો હતો.