IPL 2021: .. તો શુ ઇયોન મોર્ગન કોલકાતાની પ્લેયીંગ ઇલેવનમાં જ નહી હોય, ફાઇનલમાં પોતાના સ્થાને આ ખેલાડીને મોકો આપશે !
કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK vs KKR) IPL 2021 ફાઇનલમાં સ્પર્ધા કરશે. આ મેચ શુક્રવારે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે
IPL 2021 ની અંતિમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) વચ્ચે યોજાવાની છે. દુબઈમાં યોજાનારી આ મેચ માટે ચેન્નાઈ અને કોલકાતાએ તૈયારી કરી લીધી છે. બંને ટીમોના ખેલાડીઓ રંગમાં છે અને ટક્કર જબરદસ્ત થવાની ધારણા છે. આ મેચ પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને દાવો કર્યો હતો કે, કોલકાતા નાઇટ રાઇડર્સના કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan) ફાઇનલની પ્લેઇંગ ઇલેવનથી પોતાને દૂર રાખી શકે છે.
ઇયોન મોર્ગન કોલકાતાની પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર થશે?
માઈકલ વોને મીડિયા રિપોર્ટસ મુજબ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, જો કેપ્ટન ઈયોન મોર્ગન પોતાને ફાઇનલની પ્લેઈંગ ઈલેવનમાં ન મૂકે તો તેમને આશ્ચર્ય થશે નહીં. ઇયોન મોર્ગન તેના સ્થાને આન્દ્રે રસેલને તક આપી શકે છે. રસેલ છેલ્લી પાંચ મેચમાંથી બહાર છે. પરંતુ હવે તેની ઈજા થઇ ગઇ છે અને તે સાજો થઇ ચૂક્યો છે. તે બેટિંગ અને બોલિંગ સાથે પ્રેક્ટિસ પણ કરી રહ્યો છે.
માઈકલ વોને કહ્યું, કોલકાતાએ પિચ મુજબ નિર્ણય લેવો પડશે. કારણ કે કેકેઆર અત્યાર સુધી શારજાહમાં રમ્યું છે જ્યાં તેમની ટીમ પિચ મુજબ ટીમ સારી છે. પરંતુ દુબઈમાં જુદી સ્થિતી છે. જો આન્દ્રે રસેલ ચાર ઓવર ફેંકી શકે તો શાકિબ અલ હસનને બહાર બેસવું પડી શકે છે. પરંતુ ડાબા હાથના સ્પિનરને બહાર રાખવું કેટલું યોગ્ય રહેશે. ઇયોન મોર્ગન પોતાને પણ બહાર રાખી શકે છે. કારણ કે તે હંમેશા ટીમના હિતમાં નિર્ણયો લે છે.
મોર્ગનનું નિરાશાજનક પ્રદર્શન
કેકેઆર કેપ્ટનનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું છે. તે 16 ઇનિંગ્સમાં માત્ર 11.72 ની સરેરાશથી 129 રન બનાવી શક્યો છે. તે સમગ્ર સિઝનમાં માત્ર 8 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારી શક્યો હતો. આ સિઝનમાં તે શૂન્ય પર 4 વખત પેવેલિયન પરત ફર્યો છે. મોર્ગન એકમાત્ર આઈપીએલ કેપ્ટન છે, જે એક સીઝનમાં ચાર વખત ખાતું ખોલાવી શક્યો નથી.
આ સિઝનમાં, મોર્ગન 10 ઇનિંગ્સમાં ડબલ ફિગરને સ્પર્શી શક્યો નથી. આઈપીએલમાં કોઈ ખેલાડીએ આવું શરમજનક પ્રદર્શન કર્યું નથી. તે સ્પષ્ટ છે કે મોર્ગન સારા ફોર્મમાં નથી અને જો તે પોતાને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખે છે, તો તેનો ફાયદો કોલકાતાને જ થશે. મોર્ગનની ગેરહાજરીમાં દિનેશ કાર્તિક પદ સંભાળી શકે છે.