IPL 2021 ના બીજા તબક્કામાં હાર સાથે શરૂઆત કરનાર મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ગુરુવારે ,કલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે જીતના ટ્રેક પર પરત ફરવા ઈચ્છશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સને બીજા તબક્કાની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે (Chennai Super Kings) હરાવ્યુ હતુ. પ્રથમ તબક્કામાં જીતવા માટે સંઘર્ષ કરી રહેલા KKR એ એકતરફી વિજય સાથે બીજા તબક્કાની શરૂઆત કરી છે. તે પોતાનું પ્રદર્શન જારી રાખવા માટે મક્કમ રહેશે. પ્લેઓફની આશાને જીવંત રાખવા માટે KKR કોઈપણ કિંમતે મુંબઈ પર જીત મેળવવા ઈચ્છશે.
પોઈન્ટ ટેબલ પર આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને રહેલી મુંબઈએ, ધીમી શરૂઆત સાથે બીજા તબક્કાની શરૂઆત કરી હતી. પરંતુ હવે અડધી ટુર્નામેન્ટ થઈ ગઈ છે અને ટોચના ચારમાં રહેવા માટે ડિફેન્ડિંગ ચેમ્પિયનને જીત જરૂરી બની છે. બીજી બાજુ, KKR ની ટીમ છઠ્ઠા સ્થાને છે અને ટોપ 4 માં પહોંચવા માટે તેને જીત ખૂબ મહત્વની છે. બીજા તબક્કામાં KKR ટીમ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે. જે રીતે તેણે RCB ને હરાવ્યુ, તેણે બતાવ્યું કે મુંબઈ માટે પડકાર સરળ રહેશે નહીં.
મુંબઈની બેટિંગ મુશ્કેલ બની
રોહિત શર્મા છેલ્લા કેટલાક સમયથી શાનદાર ફોર્મમાં છે, જે જાળવી રાખવાની આશા છે. બેટ્સમેનોએ ચેન્નાઈ સામે કરેલી ભૂલો સુધારવાની આ મેચમાં અપેક્ષા છે. ચેન્નાઈ સામે 156 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સૌરભ તિવારી સિવાય મુંબઈના કોઈ પણ બેટ્સમેન સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. મુંબઈ છેલ્લી મેચમાં રોહિત અને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વગર રમી હતી. સાવચેતીના પગલા રૂપે બંનેને નાની-મોટી ઇજાઓના કારણે આરામ આપવામાં આવ્યો હતો. આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું હતું.
બીજી બાજુ, પ્રથમ મેચમાં શાનદાર જીતથી KKR નું મનોબળ વધ્યું હશે. પ્રથમ તબક્કામાં સંઘર્ષ કરનાર KKRની ટીમ RCB સામેની તે મેચમાં સંપૂર્ણપણે બદલાયેલ રંગમાં જોવા મળી હતી. ઇયોન મોર્ગનની આગેવાની હેઠળની ટીમ પોઇન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. તેમના મીસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે આરસીબી સામે શાનદાર બોલિંગ કરી હતી. બાદમાં શુભમન ગિલ અને વેંકટેશ અય્યરની ઇનિંગ્સથી 10 ઓવર બાકી રાખીને લક્ષ્ય વીંધી લીધુ હતુ. કેકેઆરે આ મેચમાં પોતાનું આક્રમક વલણ બતાવ્યું હતું. જે જાળવતા તેઓ મુંબઈ સામે પણ આ જ આક્રમકતા સાથે મેદાનમાં ઉતરશે.
Published On - 9:41 am, Thu, 23 September 21