IPL 2021 અને CPLના શિડ્યુઅલને લઈને સમસ્યા સર્જાઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ (Cricket West Indies) સાથે તારીખોને લઈને હવે વાતચીત હાથ ધરી છે. BCCIએ કહ્યુ છે કે, CPL ટૂર્નામેન્ટને 7થી 10 દિવસ વહેલા આયોજીત કરવામાં આવે. જેથી IPLની અધૂરી મેચનું શિડ્યુલ જાળવી શકાય. તેમજ વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓ IPLમાં ભાગ લઈ શકે.
કોરોના સંક્રમણ બાયોબબલમાં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સુધી પહોંચ્યુ હતુ. જેને લઈને આઈપીએલને સ્થગીત કરી દેવામાં આવી હતી. આઈપીએલની 31 મેચો રમાડવાની બાકી છે. તે માટેનું આયોજન હવે યુએઈમાં થનારુ છે. જે મેચો સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસ દરમ્યાન રમાનાર છે. આવી સ્થિતીમાં ખેલાડીઓ માટે બંને લીગમાં હિસ્સો લેવો મુશ્કેલ બની શકે છે.
મીડિયા રિપોર્ટનુસાર બીસીસીઆઈ સુત્રોએ કહ્યુ હતુ કે અમારી વાત ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝ સાથે ચાલી રહી છે. અમે આશા કરી રહ્યા છીએ કે, સીપીએલ કેટલાક દિવસ પહેલા સમાપ્ત કરવામાં આવે. જેથી ખેલાડીઓ એક બાયોબબલમાંથી બીજા બબલમાં શીફ્ટ સરળતાથી થઈ શકે. તેમજ ખેલાડીઓ સમયે UAE પહોંચીને ત્રણ દિવસનો ક્વોરન્ટાઈન પિરીયડ પસાર કરી શકે.
સીપીએલના શિડ્યુલમાં કોઈ જ ફેરફાર ના થાય તો વેસ્ટ ઈન્ડીઝના ખેલાડીઓ આઈપીએલની શરુઆતની મેચોથી બહાર રહી શકે છે. વેસ્ટ ઈન્ડીઝના અનેક ખેલાડીઓ આઈપીએલની ટીમો માટે મહત્વના ખેલાડીઓ છે. જેમાં કિયરોન પોલાર્ડ, ક્રિસ ગેઈલ, ડ્વેન બ્રાવો, શિમરોન હેટમેયર, જેસન હોલ્ડર, નિકોલસ પૂરન અને સુનિલ નરેનનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓ શરુઆતમાં ગેરહાજરી દર્શાવી શકે છે.
આ પણ વાંચો: IPL 2021: કોલકત્તા નાઇટ રાઇડર્સને મોટો ઝટકો, 15 કરોડનો મોંઘોદાટ સ્ટાર બોલર સિઝનમાં પરત નહી ફરે