INDvWI: અંતિમ ટી20 મેચને લઈને દર્શકો માટે સારા સમાચાર આવ્યા સામે, BCCIએ લીધો આ મોટો નિર્ણય
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટી20 સીરિઝની તમામ ત્રણેય મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. જેમાં ત્રીજી અને અંતિમ ટી20 મેચ 20 ફેબ્રુઆરીએ રમાશે.
વન-ડે સીરિઝમાં ક્લિન સ્વિપ કર્યા બાદ હવે ટીમ ઈન્ડિયાની (Team India) નજર ટી20 સીરિઝમાં પણ ક્લિન સ્વિપની રહેશે. વેસ્ટ ઈન્ડિઝ (West Indies Cricket) સામે ટી20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે. આ સીરિઝની તમામ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. તમને જણાવી દઇએ કે બંગાળ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) પાસેથી ઈડન ગાર્ડન્સ મેદાન પર મેચ દરમ્યાન દર્શકોના પ્રવેશની પરવાનગી માંગી હતી.
BCCIએ બંને ટીમો વચ્ચે 20 ફેબ્રુઆરીએ થનાર સીરિઝની ત્રીજી ટી20 મેચ માટે દર્શકોને મેદાન પર આવવાની પરવાનગી આપી દીધી છે. દર્શકો હવે સીરિઝની અંતિમ ટી20 મેચ મેદાન પર જઈને જોઈ શકશે. બંગાળ ક્રિકેટ એસોસિએશને ભારતીય ક્રિકેટ બોર્ડને અનુરોધ કર્યો હતો કે ઈડન ગાર્ડન્સના સ્ટેન્ડની ઉપરના બ્લોકમાં દર્શકોને જવાની પરવાનગી આપવામાં આવે. વેસ્ટ ઇન્ડિઝ સામે ભારતીય ટીમ બીજી મેચ 18 ફેબ્રુઆરીના રોજ રમશે.
ભારતના જાણીતા મીડિયા હાઉસના એક રિપોર્ટ પ્રમાણે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અવિશેક ડાલમિયાને ઈ-મેઈલ કર્યો હતો કે “જેવી રીતે ટીમ સાથે ચર્ચા કરવામાં આવી છે, તમારા અનુરોધ પ્રમાણે તમે ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ ટી20 મેચ માટે સ્ટેન્ડ્સને દર્શકો માટે શરૂ કરી શકો છો.”
ટીમ ઈન્ડિયામાં થયા ફેરફાર
રોહિત શર્માની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયામાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સીરિઝ માટે કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. કારણ કે ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ ઈજાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયો છે તો જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમીને આ સીરિઝમાં આરામ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Winter Olympic 2022: ભારતના અભિયાનનો નિરાશાજનક અંત, સ્લૈલમમાં રેસ પુરી કરી ન શક્યો આરિફ
આ પણ વાંચો : IND VS WI: રવિ બિશ્નોઇએ ડેબ્યૂ મેચમાં જ કર્યો કમાલ, એક જ ઓવરમાં ઝડપી બે વિકેટ