એશિયા કપ (Asia Cup 2022) શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. ભારતીય ખેલાડીઓએ પણ એશિયા કપની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા તેની છેલ્લી શ્રેણી માટે રવાના થઈ ગઈ છે. એશિયા કપ પહેલા ટીમ ઈન્ડિયા તેની છેલ્લી સિરીઝ ઝિમ્બાબ્વે સામે રમશે અને ભારતીય ટીમ (Indian Cricket Team) આ પ્રવાસ માટે રવાના થઈ ચુકી છે. BCCI એ સોશિયલ મીડિયા પર ટીમની વિદાયની તસવીરો શેર કરી છે. જોકે આ તસવીરો પર બોર્ડ સામે ચાહકોએ સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યા છે.
ટીમ ઈન્ડિયા રવાના થઈ આ દરમિયાન પ્લેનમાં ખેલાડીઓએ ફોટો પડાવ્યા હતા. જે બોર્ડના અધિકૃત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા હતા. આ ફોટાને લઈને ખેલાડીઓ અને બોર્ડ પર ચાહકોએ કટાક્ષ કરી દીધા છે. ચાહકોએ પણ તસવીરો પર સવાલો પૂછવા અને સલાહ આપવાનું શરૂ કરી દીધું છે.
દીપક ચહર, શિખર ધવન, મોહમ્મદ સિરાજ, ઋતુરાજ ગાયકવાડ ફ્લાઈટમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. બોર્ડે આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી, પરંતુ ફોટોની ગુણવત્તાને લઈને બોર્ડ ટ્રોલ થવા લાગ્યું હતું. યુઝર્સે કહ્યું કે સારો ડીએસએલઆર ખરીદો, ભૂલશો નહીં કે તમે વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છો.
— BCCI (@BCCI) August 12, 2022
ભારત ઝિમ્બાબ્વે સાથે ત્રણ મેચની વનડે શ્રેણી રમશે. પ્રથમ મેચ 18 ઓગસ્ટે રમાશે. કેએલ રાહુલના નેતૃત્વમાં ટીમ મેદાનમાં ઉતરશે. રાહુલ અગાઉ 15 સભ્યોની પ્રારંભિક ટીમનો ભાગ નહોતો, પરંતુ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યા બાદ તેને શિખર ધવનના સ્થાને આ પ્રવાસ માટે ટીમની કપ્તાની સોંપવામાં આવી હતી. શિખર ધવનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. દીપક ચહર પણ આ પ્રવાસમાં પરત ફર્યા છે, જે લગભગ એક વર્ષ પછી મેદાનમાં ઉતરશે.
ઝિમ્બાબ્વે શ્રેણી ચહર માટે એક પ્રકારની ફિટનેસ ટેસ્ટ છે અને તેણે અહીં સાબિત કરવું પડશે કે તે સંપૂર્ણ રીતે ફિટ છે. જો તે અહીં કમાલ કરશે તો ટી20 વર્લ્ડ કપ 2022ની ટીમમાં તેનું સ્થાન લગભગ નિશ્ચિત થઈ જશે. તે જ સમયે, આ તસવીરોમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ પણ જોવા મળ્યા છે, જેઓ આ શ્રેણી માટે ટીમના કોચ છે. વાસ્તવમાં, રાહુલ દ્રવિડ 27 ઓગસ્ટથી UAEમાં શરૂ થઈ રહેલા એશિયા કપ પહેલા આ શ્રેણીમાં જોવા મળશે નહીં. તેમના સ્થાને લક્ષ્મણ ઝિમ્બાબ્વે પ્રવાસે જઈ રહ્યા છે.
Published On - 9:37 am, Sat, 13 August 22