ભારતે (Indian Cricket Team) પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 68 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતમાં મુખ્યત્વે મજબૂત બોલિંગનો ફાળો હતો, જેણે શક્તિશાળી બેટ્સમેનોથી ભરેલી વિન્ડીઝની ટીમને માત્ર 122 રનમાં જ રોકી દીધી હતી. તેની સરખામણીમાં ભારતની બેટિંગ એટલી અસર કરી શકી નથી. ટીમ ઈન્ડિયાએ 190 રન બનાવ્યા, પરંતુ મુખ્યત્વે બે બેટ્સમેન રમ્યા અને આ જ કારણ છે કે જીત છતાં કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પોતાના સાથી ખેલાડીઓને પાઠ આપ્યો.
29 જુલાઈએ ત્રિનિદાદમાં રમાયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટના નુકસાન પર 190 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રોહિતે સૌથી વધુ 64 રન (44 બોલ) બનાવ્યા હતા. તે જ સમયે, રોહિત બાદ દિનેશ કાર્તિકે છેલ્લી ઓવરમાં જોરશોરથી બેટિંગ કરી અને આ સ્કોર સુધી પહોંચાડ્યો. કાર્તિકે 16મી ઓવર પછી રવિચંદ્રન અશ્વિન સાથે 52 રનની ભાગીદારી કરી હતી. કાર્તિક 19 બોલમાં 41 રન બનાવીને અણનમ રહ્યો હતો.
ટીમ માટે ઓપનિંગ કરનાર સૂર્યકુમાર યાદવ, શ્રેયસ અય્યર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજા જેવા બેટ્સમેનો લાંબો સમય ટકી શક્યા ન હતા અને કેપ્ટન રોહિતે પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો અને તેના સાથી ખેલાડીઓને ક્રિઝ પર રહેવાની સૂચના આપી હતી. મેચ પછી રોહિતે કહ્યું, “અમે જાણતા હતા કે તે થોડું મુશ્કેલ હશે, શરૂઆતમાં શોટ લગાવવા સરળ નહોતું. ક્રિઝ પર રહેલા ખેલાડીઓએ વધુ લાંબી બેટિંગ કરવી જોઈએ અને જે રીતે અમે પ્રથમ દાવ પૂરો કર્યો, તે એક શાનદાર પ્રયાસ હતો.”
ભારતીય સુકાનીએ સ્વીકાર્યું કે શરૂઆત બાદ તેને 190 જેવા સ્કોરની આશા નહોતી. અનુભવી ઓપનરે કહ્યું, “જ્યારે અમે પ્રથમ 10 ઓવર પૂરી કરી ત્યારે અમે વિચાર્યું ન હતું કે અમે 190 રનના સ્કોર સુધી પહોંચી જઈશું. યુવાઓએ એક મહાન પ્રયાસ કર્યો અને અંત પણ સરસ રહ્યો. અમે રમતના આ ત્રણ પાસાઓમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”
આ સાથે ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝમાં સતત ચોથી મેચ જીતી લીધી છે. આ પહેલા શિખર ધવનની કપ્તાનીમાં ભારતે વનડે શ્રેણીમાં યજમાન ટીમનો 3-0થી સફાયો કર્યો હતો. હવે રાહ 31 જુલાઈ રવિવારની છે, જ્યારે બંને ટીમો આ જ મેદાન પર બીજી T20માં ટકરાશે. પાંચ મેચની શ્રેણીમાં હાલ ભારત 1-0થી આગળ છે.
Published On - 10:13 am, Sat, 30 July 22