ભારત અને ન્યુઝીલેન્ડ સામે હવે ટી20 સિરીઝ રમાનારી છે. જેની શરુઆત શુક્રવાર એટલે કે 27 જાન્યુઆરીથી થનારી છે. 3 મેચોની સિરીઝની પ્રથમ મેચ રાંચીમાં રમાનારી છે. વનડે મેચમાં ભારતીય ટીમે ક્લીન સ્વિપ કર્યા બાદ હવે ન્યુઝીલેન્ડનો ટી20 સિરીઝમાં પણ આવી જ રીતે હાર આપવા માટે દમ લગાવશે. જોકે ટી20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાનુ સુકાન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે. સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિતના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. આમ આવી સ્થિતીમાં યુવા ખેલાડીઓ કિવી ટીમ સામે દમ દેખાડશે.
ભારતે આગામી ટી20 વિશ્વકપ માટે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. આમ યુવા ખેલાડીઓને વધુ તક મળવાને લઈ વિશ્વકપ સુધીમાં એટલે કે આગામી વર્ષ સુધીમાં તમામ રીતે મજબૂત ટીમ તૈયાર કરી શકાશે. અગાઉ હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં 2-1 થી વિજય મેળવ્યો હતો. હવે કિવી ટીમ સામે હાર્દિક પંડ્યા સહિતના યુવા ખેલાડીઓની સિનિયરોની ગેરહાજરીમાં વધુ એક કસોટી થનારી છે.
પૃથ્વી શો ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં ખુદને સાબિત કર્યો છે. પૃથ્વીએ ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવ્યા હતા. પસંદગીકારોએ તેના રણજી ટ્રોફીમા પ્રદર્શનને ધ્યાને લઈ મોકો આપ્યો છે. રણજીમાં પૃથ્વીએ 379 રનની ઈનીંગ રમી હતી. પૃથ્વી શો દોઢેક વર્ષની લાંબી રાહ જોયા બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. જોકે હવે જોવાનુ એ રહે છે કે, ઓપનર તરીકે તેની પસંદગી હાર્દિક પંડ્યા અંતિમ ઈલેવનમાં કરે છે કે કેમ.
શુભમન ગિલ હાલમાં શાનદાર ફોર્મમાં છે. ગિલ અને ઈશાન કિશન બંનેની ઓપનીંગ જોડીમાં ફેરબદલ કરીને શોને તક આપવી પડે. આવી સ્થિતીમાં હાર્દિકે શો માટે જગ્યા કરવીએ મુશ્કેલ છે. ગિલે અંતિમ 4 ઈનીગમાં ત્રણ સદી નોંધાવી છે. જેમાં એક બેવડી સદી પણ સામેલ છે. સૂર્યકુમાર યાદવ ટી20 ફોર્મેટમાં તોફાની રમત રમે છે. જોકે તે વનડે સિરીઝમાં ખાસ કમાલ દર્શાવી શક્યો નહોતો. પરંતુ ટી20 ફોર્મેટમાં તેને નજર અંદાજ કરી શકાય એમ નથી.
શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં અર્શદીપ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. હવે તે ન્યુઝીલેન્ડ સામે દમદાર પ્રદર્શન સાથે મેદાને ઉતરવા પ્રયાસ કરી અગાઉની શ્રેણીને ભૂલવા માટે પ્રયાસ કરશે. અર્શદીપની ગેરહાજરીમાં યુવા ઝડપી બોલર શિવમ માવીએ ડેબ્યૂ મેચમાં જ જબરદસ્ત દેખાવ કર્યો હતો. તેણે ડેબ્યૂ મેચમાં 4 વિકેટ ઝડપી હતી. જોકે હવે ઉમરાન મલિક સાથે મળીને ખતરનાક જોડીનુ સમિકરણ હાર્દિક રચી શકે છે. કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલ બંનેમાંથી એકને જ અંતિમ ઈલેવનમાં સ્થાન મળી શકે એમ છે.
Published On - 7:44 pm, Thu, 26 January 23