
વૈભવ સૂર્યવંશીના ટીમ ઈન્ડિયામાં ડેબ્યૂની રાહ જોતા લાખો ચાહકોને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસના પ્રથમ ત્રણ મેચમાં નિરાશા જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 15 વર્ષનો યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને એકપણ મેચમાં રમવાની તક આપી નથી. ટીમ મેનેજમેન્ટ તેને ઉતારવામાં ઉતાવળ કરવા માંગતું નથી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે વૈભવને તક આપવાનો સમય આવી ગયો છે. કારણ કે સંજુ સેમસને સતત ત્રીજી મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું છે.
આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન સંજુ સેમસન બંને મેચમાં ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. પહેલી મેચમાં તે ફક્ત 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે બીજી મેચમાં તે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો. પહેલી મેચમાં તે બીજી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો હતો. જ્યારે બીજી મેચમાં તે ઇનિંગ્સના પહેલા જ બોલ પર આઉટ થયો હતો. ઇંગ્લેન્ડમાં પણ તેનું ખરાબ ફોર્મ ચાલુ જોવા મળ્યું છે. ચેસ્ટર-લે-સ્ટ્રીટ T20ની બીજી ઓવરમાં ફક્ત 1 રન બનાવીને સંજુ સેમસન આઉટ થયો હતો. થોડા મહિના પહેલા જ સંજુ સેમસનએ 300થી વધુ રન બનાવીને T20 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાને વિજય અપાવ્યો હતો. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી સંજુ સેમસને આઈપીએલમાં પણ ઝડપી રન બનાવ્યા હતા. પરંતુ હવે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો સતત ફ્લોપ શો ચાલું છે.
સંજુ સેમસન વર્લ્ડ કપ અને આઈપીએલમાં શાનદાર ફોર્મમાં જોવા મળ્યો હતો. પરંતુ આ બધી મેચ ભારતમાં રમાઈ હતી. ભારતની બહાર સતત 10 ઇનિંગ્સમાં તેનું પ્રદર્શન બહુ સારું રહ્યું નથી. ભારતની બહાર રમાયેલી છેલ્લી 10 T20 આંતરરાષ્ટ્રીય ઇનિંગ્સમાં સંજુ સેમસને 2 સદી ફટકારી છે. પરંતુ તે પાંચ વખત ઝીરો પર આઉટ થયો છે. જ્યારે ત્રણ ઇનિંગ્સમાં તેણે 2, 5 અને 1 રન બનાવ્યા છે.
સંજુ સેમસનના સતત ખરાબ પ્રદર્શન બાદ હવે પ્લેઇંગ ઇલેવનમાં તેની જગ્યા પર સવાલો ઊભા થયા છે. કેપ્ટન શ્રેયસ અય્યર અને કોચ ગૌતમ ગંભીરે અગાઉ સ્પષ્ટ કહ્યું હતું કે તેઓ વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને સંપૂર્ણ સમર્થન આપશે. પરંતુ સતત ત્રણ નિષ્ફળ ઇનિંગ્સ અને વિદેશમાં ખરાબ રેકોર્ડને જોતા હવે આગામી મેચમાં સંજુ સેમસનની જગ્યા જોખમમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ પર દબાણ વધી શકે છે. આગામી T20 મેચમાં વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી શકે છે. શ્રેણીની આગામી મેચ 4 જુલાઈએ મૅન્ચેસ્ટરમાં રમાશે.