વિરાટ કોહલી (Virat kohli) સતત ખરાબ ફોર્મમાં ઝઝૂમી રહ્યો છે. કોહલીએ ઇજા બાદ ઇંગ્લેન્ડ સામેની બીજી વનડે માં વાપસી કરી હતી, પરંતુ બીજી વનડેમાં પણ તેનું બેટ શાંત રહ્યું હતું અને તે માત્ર 16 રન જ બનાવી શક્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 3 ચોગ્ગા ફટકાર્યા હતા. અગાઉ ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણી માં પણ તે પોતાના ખરાબ ફોર્મમાં સંઘર્ષ કરી રહ્યો હતો. કેટલાક ભૂતપૂર્વ ક્રિકેટરોનું માનવું છે કે કોહલીએ થોડો સમય બ્રેક લેવો જોઈએ, ત્યારે પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે આ મુશ્કેલ સમયમાં કોહલીને ખાસ સંદેશ મોકલ્યો હતો. બાબર આઝમ (Babar Azam) કોહલીના સમર્થનમાં આવ્યો હતો. તેની સરખામણી ઘણીવાર કોહલી સાથે કરવામાં આવે છે.
લોર્ડ્સમાં કોહલી 16 રને આઉટ થયા બાદ બાબરે ટ્વિટર પર એક ખાસ પોસ્ટ કરી હતી. તેણે લખ્યું કે આ પણ પસાર થઈ જશે. મજબૂત બન્યા રહો. મેચ વિશે વાત કરીએ તો, ભારતે ટોસ જીતીને યજમાન ઈંગ્લેન્ડને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતીય બોલરોએ યજમાન ટીમને 246 રનમાં આઉટ કરી દીધી હતી. મોઈન અલીએ સૌથી વધુ 47 રન બનાવ્યા હતા. ડેવિડ વિલીએ 41 અને જોની બેયરસ્ટોએ 38 રન બનાવ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 47 રનમાં 4 વિકેટ લીધી હતી. ચહલ લોર્ડ્સમાં વનડેમાં ચાર વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. તેમના પહેલા કોઈ ભારતીય આ કામ કરી શક્યું ન હતું.
This too shall pass. Stay strong. #ViratKohli pic.twitter.com/ozr7BFFgXt
— Babar Azam (@babarazam258) July 14, 2022
હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને 2-2 સફળતા મળી હતી. 247 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ 38.5 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારત 100 રનના વિશાળ અંતરથી મેચ હારી ગયું હતું. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર ખરાબ રીતે નિષ્ફળ રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા, શિખર ધવન કોહલી, ઋષભ પંત કોઈ બેટિંગ કરી શક્યું ન હતું. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 29-29 રન બનાવ્યા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવે 27 રન બનાવ્યા હતા. મોહમ્મદ શમીએ પણ 23 રનનું યોગદાન આપ્યું હતું. રીસ ટોપલેએ 24 રનમાં 6 વિકેટ લઈને ઈંગ્લેન્ડને જીત અપાવી અને શ્રેણી 1-1થી બરાબર કરી. ભારતે પ્રથમ વનડે 10 વિકેટે જીતી હતી.
Published On - 10:21 am, Fri, 15 July 22