ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની વન ડે શ્રેણી સમાપ્ત થયા બાદ હવે બંને દેશ વચ્ચે આગામી બુધવારથી ટેસ્ટ સિરીઝ શરુ થનાર છે. બે મેચોની ટેસ્ટ શ્રેણી ભારત માટે મહત્વની છે. આઈસીસીની વિશ્વટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે બંને ટેસ્ટ મેચમાં વિજય ભારત માટે મહત્વનો રહેશે. જોકે આ પહેલા જ ભારતીય ટીમ માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયાના નિયમીત કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા બહાર થયા છે. ઈજાને લઈ બંને હાલમાં આરામ પર છે અને તેઓ બાંગ્લાદેશમાં રમાનારી પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નહીં રહે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માની ગેરહાજરીમાં કેએલ રાહુલ ટીમનુ સુકાન સંભાળશે. જ્યારે વાઈસ કેપ્ટનની ભૂમિકા ચેતેશ્વર પુજારા સંભાળશે. રોહિત શર્મા અંગુઠામાં ઈજાને લઈ ત્રીજી અને શ્રેણીની અંતિમ વનડેમાં ઉપલબ્ધ રહી શક્યો નહોતો. હવે તે પ્રથમ ટેસ્ટમાં પણ મેદાને નહીં ઉતરે.
ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા એક નિવેદનમાં જણાવ્યુ છે કે, રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ મેચમાં ઉપલબ્ધ રહેશે નહીં. બીસીસીઆઈ એ કહ્યુ હતુ કે, એક્સપર્ટે સુકાની રોહિત શર્માને આરામ પર રહેવા માટેની સલાહ આપી છે. રોહિત શર્માને બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન શ્રેણીની બીજી વન ડેમાં ઈજા પહોંચી હતી. જેને લઈ તે સારવાર માટે મુંબઈ પરત ફર્યો હતો. જ્યા તે હાલમાં આરામ પર છે.
BCCIએ પોતાના નિવેદનમાં લખ્યું છે કે, “ભારતીય કેપ્ટન રોહિત શર્મા પોતાના અંગૂઠાની ઈજાને લઈને મુંબઈમાં નિષ્ણાતને મળ્યો હતો. તેને આ ઈજાને સારી રીતે સંભાળવાની સલાહ આપવામાં આવી છે અને આ કારણોસર તે બાંગ્લાદેશ સામે રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં ભાગ નહીં લે. બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં તેના રમવા અંગે બીસીસીઆઈની મેડિકલ ટીમ બાદમાં નિર્ણય લેશે.વરિષ્ઠ પસંદગી સમિતિએ પ્રથમ ટેસ્ટ માટે તેના સ્થાને અભિમન્યુ ઈશ્વરનનો સમાવેશ કર્યો છે.
આ પહેલાથી જ ઈજાને લઈ ભારતીય ક્રિકેટ ટીમ દુર રહેલા રવિન્દ્ર જાડેજા પણ બાંગ્લાદેશ પ્રવાસમાં ટીમ સાથે નહીં જોડાય તેને પહોંચેલી ઈજામાંથી સંપૂર્ણ રીતે તે સાજો થયો નથી. જેને લઈ તે ટેસ્ટ સિરીઝમાં રમી શકશે નહીં. BCCIએ જણાવ્યું હતું કે, “ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સુધી તેમના ખભા અને ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થયા નથી અને તેઓ ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.”
આ બંનેની જગ્યાએ નવદીપ સૈની અને સૌરભ કુમારને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. BCCIએ કહ્યું, “પસંદકર્તાઓએ શમી અને જાડેજાના સ્થાને નવદીપ સૈની અને સૌરભ કુમારને ટીમમાં સામેલ કર્યા છે. પસંદગી સમિતિએ ટેસ્ટ શ્રેણી માટે જયદેવ ઉનડકટને પણ ટીમમાં સામેલ કર્યો છે”.
કેએલ રાહુલ (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, ઋષભ પંત (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ. ઉમેશ યાદવ, અભિમન્યુ ઇશ્વરન, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ.
Published On - 9:49 pm, Sun, 11 December 22