એશિયા કપ બાદ હવે ટીમ ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયા (India Vs Australia) નો પડકાર છે. મંગળવારથી મોહાલીમાં ત્રણ મેચની T20 શ્રેણી શરૂ થઈ રહી છે. ટી-20 વર્લ્ડ કપ ની દૃષ્ટિએ આ ટી20 સિરીઝ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સિરીઝમાં કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) પાસે તેના તમામ મોટા સવાલોના જવાબ શોધવાનો મોકો છે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે તે પ્લેઈંગ ઈલેવનમાં કોને તક આપશે? રોહિત શર્માની સામે આ સૌથી મોટી મૂંઝવણ બની રહી છે. સવાલ એ રહેશે કે શું આ વખતે પણ દિનેશ કાર્તિક ના બદલે ઋષભ પંત (Rishabh Pant) ને તક મળશે? અક્ષર પટેલ અને દીપક હુડ્ડા આ બે માંથી કોણ રમશે?
રોહિત શર્માએ પહેલાથી જ સ્પષ્ટ કર્યું છે કે કેએલ રાહુલ ભારતનો ટી20 ઓપનર છે અને વિરાટ કોહલી ટીમનો ત્રીજો ઓપનર છે. મતલબ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી20માં રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડી ઓપનિંગ કરશે. આ પછી વિરાટ કોહલી ત્રીજા નંબર પર આવશે. મિડલ ઓર્ડર સૂર્યકુમાર યાદવ પાસે રહેશે. બીજી તરફ, હાર્દિક પંડ્યા ભારતનો ઓલરાઉન્ડર રહેશે.
એશિયા કપ દરમિયાન રોહિત શર્માએ પ્લેઈંગ ઈલેવનમાં દિનેશ કાર્તિક કરતાં પંતને પસંદ કર્યો હતો. પંત બેટથી નિષ્ફળ ગયો હતો, તો શું હવે રોહિત શર્મા કાર્તિકને વિકેટકીપિંગની જવાબદારી સોંપશે? માનવામાં આવી રહ્યું છે કે ઓસ્ટ્રેલિયા સામે દિનેશ કાર્તિકને તક આપવામાં આવી શકે છે. આ સિવાય અક્ષર પટેલ અને દીપક હુડ્ડામાંથી કઈ ટીમ ઈન્ડિયા પસંદ કરશે? જો અક્ષર પટેલ સારો બોલિંગ વિકલ્પ હોય તો તેને તક આપવામાં આવી શકે છે.
બોલિંગની વાત કરીએ તો જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલ ફિટ થયા બાદ ટીમમાં વાપસી કરશે તે નિશ્ચિત છે. આ સિવાય 2022માં T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ભુવનેશ્વર કુમાર પણ ટીમનો ભાગ હશે. સ્પિન બોલરોમાં યુઝવેન્દ્ર ચહલને તક આપવામાં આવી શકે છે.
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત/દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, જસપ્રિત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ
Published On - 10:57 am, Tue, 20 September 22