એશિયા કપ માં અઘફાનિસ્તાન સામેની મેચમાં રોહિત શર્મા (Rohit Sharma) એ આરામ લીધો હતો. જેને બદલે ઓપનીંગમાં કેએલ રાહુલ સાથે વિરાટ કોહલી (Virat Kohli) આવ્યો હતો. કોહલીએ શરુઆત થી અંત સુધી ક્રિઝ પર રહીને બેટીંગ કરી હતી. કોહલીએ શાનદાર ઈનીંગ રમતા અણનમ શતક ફટકાર્યુ હતુ. કોહલીના બેટથી 122 રન નિકળ્યા હતા અને જે ટી20નુ તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન નોંધાયુ છે. તો વળી તેની આ ઈનીંગને લઈ ભારતે અફઘાનિસ્તાન સામે 101 રનથી જંગી જીત પણ મેળવી હતી. કોહલીનુ લાંબા સમય બાદ શતક આવ્યા બાદ સવાલો પણ અલગ અલગ રીતે થઈ રહ્યા છે. ખાસ કરીને તેના બેટીંગ ઓર્ડરને લઈ. આવો જ એક સવાલ અફઘાનિસ્તાન સામે ટીમનુ સુકાન સંભાળનાર કેએલ રાહુલ (KL Rahul) ની સામે થયો હતો.
રોહિત શર્માની ગેરહાજરી જાણે કે વિરાટ કોહલીને ફળી હોય એમ તેને વધુ સમય ક્રિઝ પર રહેવાનો મોકો મળ્યો. કોહલીએ આ મોકાનો પુરો ફાયદો ઉઠાવ્યો હતો અને અગાઉ વર્તમાન એશિયા કપમાં ત્રીજા નંબરે બેટીંગ ઓર્ડરમાં આવી 2 અડધી સદી નોંધાવવા બાદ હવે સદી નોંધાવી હતી. કોહલી ઓપનીંગમાં આવીને અંત સુધી ક્રિઝ પર રહ્યો હતો. તેણે ચોગ્ગા અને છગ્ગાની વણઝાર વરસાવી દીધી હતી.
કેએલ રાહુલને મેચ બાદ વિરાટ કોહલીના બેટીંગ ઓર્ડરને લઈને પૂછવામાં આવ્યુ હતુ અને તેનો આ સવાલનો જવાબ કંઈક ફની રહ્યો હતો. જેને લઈ તેનો આ વિડિયો પણ ઝડપથી વાયરલ થવા લાગ્યો હતો. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલને વિરાટના બેટીંગ ઓર્ડરને સવાલ કરવામાં આવ્યો હતો, જેની પર તેણે હસતા હસતા જ જવાબ વાળ્યો હતો. તેણે કહ્યુ તો પછી હું જાતે જ બેસી જાંઉ પછી?
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અફઘાનિસ્તાન સામે સુકાન સંભાળનાર રાહુલને પુછવામાં આવ્યુ હતુ કે, વિશ્વકપ પહેલા વિરાટ કોહલીની આ ઈનીંગને જોવામાં આવે, આઈપીએલમાં પણ જોયુ છે, ઓપનીંગ કરતા તે 5 શતક લગાવી ચુક્યો છે અને હવે આજે પણ ઓપનરના રુપમાં તેનુ શતક આવ્યુ છે. આમ જો વાઈસ કેપ્ટનના રુપમાં જ્યારે ટીમ મેનેજમેન્ટમાં વાત થશે તો ત્યારે એ વિચારવામાં આવશે કે વિશ્વ કપ પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સિરીઝ માં કોહલીને ઓપનરના રુપમાં અજમાવવામાં આવશે કે કેમ? કોહલીએ પાછળના વર્ષે પણ કહ્યુ હતુ કે, તે ઓપનીંગ કરવા ઈચ્છે છે.
Published On - 9:59 am, Fri, 9 September 22