
ભારતે મંગળવારે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતના આ વિજય સાથે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ફાઈનલનું સ્થળ બદલાઈ ગયું છે. અગાઉ ફાઇનલ મેચ યજમાન પાકિસ્તાનના લાહોર શહેરમાં યોજાવાની હતી, પરંતુ ભારત ફાઈનલમાં પહોંચતાની સાથે જ આ મેચ દુબઈ ખસેડવામાં આવી છે, કારણ કે BCCIએ સુરક્ષાના કારણોસર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો ઈનકાર કરી દીધો છે. આ પછી જ, આ મોટી ICC ટુર્નામેન્ટ હાઈબ્રિડ મોડેલ પર આયોજિત થઈ રહી છે.
જો ભારત ફાઈનલ માટે ક્વોલિફાય ન થયું હોત, તો ફાઈનલ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાઈ હોત, જ્યાં બુધવારે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી સેમીફાઈનલ રમાઈ હતી. પરંતુ એ પહેલાથી જ સ્પષ્ટ હતું કે જો ભારત ફાઈનલમાં પહોંચે છે તો ફાઈનલ મેચ તટસ્થ સ્થળ એટલે કે દુબઈમાં ખસેડવામાં આવશે. પાકિસ્તાનની ટીમ ગ્રુપ સ્ટેજમાં જ એક પણ મેચ જીત્યા વિના ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી.
સમાચાર એજન્સી PTI અનુસાર, ICCએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે લગભગ 586 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. આ ટુર્નામેન્ટમાં કુલ 15 મેચ રમાશે. આમાંથી, ભારતની ત્રણ ગ્રુપ મેચ અને એક સેમીફાઈનલ દુબઈમાં રમાઈ હતી. હવે ફાઈનલ મેચ પણ દુબઈમાં જ રમાશે. તો એક મેચનું બજેટ લગભગ 39 કરોડ રૂપિયા હતું. આવી સ્થિતિમાં, પાકિસ્તાનને 4 મેચ માટે 156 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. હવે ફાઈનલ દુબઈમાં યોજાવાની હોવાથી પાકિસ્તાનને 39 કરોડ રૂપિયાનું વધુ નુકસાન સહન કરવું પડશે.
પાકિસ્તાને વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરવા માટે તેના ત્રણ સ્ટેડિયમના પુનઃનિર્માણ માટે લગભગ 5 અબજ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ મૂક્યો હતો. શક્ય છે કે આટલા બધા પૈસા ખર્ચાયા હશે. PCB અપેક્ષા રાખતું હતું કે મેચો માટે ચાહકોની મોટી ભીડ સ્ટેડિયમમાં ઉમટી પડશે, પરંતુ થયું કઈંક અલગ જ. કારણ કે પાકિસ્તાનની ટીમ નોકઆઉટ પહેલા જ બહાર થઈ ગઈ હતી અને બે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પાકિસ્તાને આ બે મેચની ટિકિટના પૈસા ચાહકોને પરત કરવા પડશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઈવેન્ટના અંત પછી, પાકિસ્તાન ફરી એકવાર ICC પાસે પૈસાની ભીખ માંગશે.
આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે થશે મુકાબલો, ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર !
Published On - 11:11 pm, Wed, 5 March 25