ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે રવિવારે 18 જુલાઈથી વન ડે શ્રેણીની શરુઆત થઈ રહી છે. આ સિરીઝ દ્વારા ભારતના કેટલાક યુવા ખેલાડીઓ પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પગલા રાખી રહ્યા છે. ત્યાં કેટલાક એવા પણ ખેલાડીઓ છે કે જે ટીમ ઈન્ડીયા (Team India)માં પોતાનું સ્થાન પાક્કુ કરી લેવા માટે સારુ પ્રદર્શન જરુરી છે. જેમાં એક ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) છે. શ્રીલંકાના મહાન સ્પિનર મુથૈયા મુરલીધરને (Muttiah Muralitharan) પૃથ્વી શોને પૂર્વ ભારતીય દિગ્ગજ બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગ સાથે સરખાવ્યો છે.
પૃથ્વી શોનું હાલનું ફોર્મ ખૂબ જ સારુ રહ્યુ છે. તે બોલરોની ધોલાઈ પણ સારી રીતે કરી રહ્યો છે. ઓપનરના સ્વરુપે પોતાની આક્રમક બેટીંગને લઇને પૃથ્વી શોએ અનેક દિગ્ગજોને પ્રભાવિત કર્યા છે. ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ ઝડપનાર મહાન ઓફ સ્પિનર મુરલીધરને પૃથ્વીને મર્યાદીત ઓવરમાં શ્રેષ્ઠ બેટ્સમેન માન્યો હતો.
મુરલીધરને કહ્યુ હતુ કે, જ્યાં સુધી પૃથ્વી શોની વાત છે તો જે પ્રકારે તે રમે છે, તે ટેસ્ટના પ્રમાણમાં વન ડે અને T20 ફોર્મેટમાં શ્રેષ્ઠ ખેલાડી છે. જેનાથી મને વિરેન્દ્ર સહેવાગની યાદ આવે છે. તે ખૂબ જ ખતરા ઉઠાવે છે. તેમજ બોલીંગ ટીમને દબાણમાં રાખે છે.
મહાન સ્પિનર મુજબ તેની ઝડપી બેટીંગ અને મોટી ઈનીંગને લઈ ભારત પાસે જીતના અવસર વધી જાય છે. તેણે કહ્યું જો તે રન બનાવે છે તો ભારત પાસે જીતના વધારે મોકા હશે. કારણ કે તે ઓછા સમયમાં વધારે રન બનાવી શકે છે.
તેની પાસે પ્રતિભા છે અને તે નિડર છે. તેને આઉટ થવાનો ડર નથી. તેણે સલાહ આપી હતી કે, આ સિરીઝમાં તેને પોતાના અંદાજમાં જ રમવા દેવા માટે પ્રોત્સાહિત કરવો જોઈએ. જ્યારે ઓપનિંગમાં તેના જોડીદાર શિખર ધવને સામાન્ય રુપથી બેટીંગ કરવી જોઈએ.
રાઈટ હેન્ડ બેટ્સમેન પૃથ્વી શોએ IPL અને ઘરેલુ ક્રિકેટમાં પોતાની તોફાની ઈનીંગ વડે દરેકનું ધ્યાન ખેંચ્યુ છે. જોકે આંતરરાષ્ટ્રીય સ્તર પર તે આ સફળતાને હજુ સુધી દર્શાવી શક્યો નથી. 2020માં શોએ ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પોતાનું વન ડે ડેબ્યૂ કર્યુ હતુ.
જ્યાં શ્રેણી દરમ્યાન તેણે 3 મેચમાં ફક્ત 82 રન બનાવી શક્યો હતો. તેણે પાંચ ટેસ્ટ મેચમાં એક શતક અને બે અર્ધશતક નોંધાવ્યા છે. જ્યારે T20 ક્રિકેટમાં તેનુ ડેબ્યૂ થઈ શક્યુ નથી. શો માટે શ્રીલંકા સામેની વન ડે અને T20 શ્રેણી ટીમમાં સ્થાન મેળવવા માટે મહત્વની સાબિત થશે.