IND vs SL: ટીમમાં અંદર બહાર થતા કુલદીપ યાદવે કહ્યુ, ખુદને સાબિત કરવા માટે શ્રીલંકા પ્રવાસ મહત્વનો
લેફ્ટ આર્મ સ્પિનર કુલદિપ યાદવ (Kuldeep Yadav) ને ફરી એક વાર મોકો મળ્યો છે. તે માની રહ્યો છે કે ભારતીય ટીમ (Team India) માં સ્થાન મેળવવાની હરિફાઇમાં ટકવા શ્રીલંકામાં શ્રેષ્ઠ યોગદાન જરુરી છે.
ભારતીય ટીમ (Team India) શ્રીલંકાના પ્રવાસે પહોંચી ચુકી છે. શિખર ધવન (Shikhar Dhawan) ની આગેવાનીમાં સોમવારે ભારતીય ટીમ મુંબઇ થી કોલંબો માટે રવાના થઇ હતી. ટીમમાં સામેલ ખેલાડીઓમાં કુલદીપ યાદવ (Kuldeep Yadav) નુ પણ નામ છે. તેને મળેલા મોકાથી આશા રાખી રહ્યો છે, કે તેના પ્રદર્શન વડે ટીમમાં ફરી એકવાર સ્થાન બનાવશે. તેને આશા છે કે શ્રીલંકાના મોકા પર તે સારુ પ્રદર્શન કરશે.
મીડિયા રિપોર્ટસ્ મુજબ યાદવે કહ્યુ, શ્રીલંકા પ્રવાસ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે હું ઇંગ્લેન્ડમાં ટેસ્ટ ટીમનો હિસ્સો નથી. મારા માટે ખુદને સાબીત કરવા માટે શાનદાર પ્રદર્શન કરવાનો આ એક સારો મોકો છે. ત્યારબાદ અમારે IPL પણ રમવાની છે, જ્યા પણ મને વધારે શ્રેષ્ઠ કરવાની તક મળશે.
આગળ કહ્યુ હતુ આ સમયે માત્ર શ્રીલંકામાં મળનારા મોકાઓને ઝડપી લેવાના છે. તે હાલમાં ટી20 વિશ્વકપ માટે સહેજ પણ વિચારી નથી રહ્યો. તેણે કહ્યુ, હું જાણુ છું કે જો હું સારુ પ્રદર્શન કરીશ તો હું ફરી થી ટીમમાં સામેલ થઇ શકીશ. હું ટી20 વિશ્વકપના અંગે અત્યારે વધારે નથી વિચારી રહ્યો. ટીમમાં ખૂબ હરીફાઇ છે અને મને મારુ કામ ખ્યાલ છે.
કુલદીપ યાદવની ટીમમાં આવનજાવન થતી રહે છે. તે નિરંતર રહી શક્યો નથી. જેને લઇને અનેકવાર તેના ફેન્સ પણ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીને નિશાન બનાવી ચુક્યા છે. કુલદીપ ખુદ અગાઉ નિરાશા વ્યક્ત કરી ચુક્યો છે. જોકે હાલમાં શ્રીલંકા પ્રવાસમાં સ્થાન મળવાને લઇને તેને કેટલાક અંશે રાહત પહોંચી છે.
યાદવની ક્રિકેટ કારકિર્દી
લેફ્ટ આર્મ કાંડાનો સ્પિનર કુલદીપ યાદવે 2017માં વેસ્ટઇન્ડીઝ સામે વન ડે અને ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યુ હતુ. તે માત્ર 8 ટેસ્ટ મેચ અત્યાર સુધી રમી શક્યો છે. જ્યારે 61 વન ડે ભારતીય ટીમ વતી રમ્યો છે. જેમાં તેણે વન ડે ક્રિકેટમાં 105 વિકેટ ઝડપી છે. જ્યારે ટેસ્ટ ક્રિકેટમાં 26 વિકેટ ઝડપી છે. ટી20 આંતરરાષ્ટ્રીય 21 મેચ રમીને 39 વિકેટ પોતાના ખાતામાં નોંધાવી છે.