ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે આજે T20 સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ રમાઇ રહી છે. ભારતીય કેપ્ટન શિખર ધવને (Shikhar Dhawan) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. મોટો સ્કોર ખડકવાની યોજના સાથે પ્રથમ બેટીંગ કરવા માટે મેદાને આવેલી ભારતીય ટીમે (Team India) ખરાબ શરુઆત કરી હતી. ભારતે પાંચ ઓવરમાં જ પ્રથમ 4 વિકેટ 25 રનની અંદર જ ગુમાવી દીધી હતી. આમ ભારતે 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 81 રન કર્યા હતા.
કેપ્ટન શિખર ધવનના રુપમાં જ ભારતે વિકેટ ગુમાવવાની શરુઆત કરી હતી. કેપ્ટન ધવન શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. દેવદત્ત પડીક્કલના રુપમાં 23 રનના સ્કોર પર બીજી વિકેટ ગુમાવી હતી. 24 રનના સ્કોર પર સંજૂ સેમસન અને 25 રનના સ્કોર પર ઋતુરાજ ગાયકવાડની વિકેટ ગુમાવી હતી. આમ ભારત પ્રથમ 5 ઓવરમાં જ ભારતે 4 વિકેટ ગુમાવીને મુશ્કેલ સ્થિતી સર્જી દીધી હતી. ગાયકવાડે 10 બોલમાં 14 રન, પડિક્કલ 15 બોલમાં 9 રન અને સેમસન શૂન્ય રને આઉટ થયો હતો.
ભૂવનેશ્વર કુમાર અને કુલદીપ યાદવે ઇનીંગને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ ભૂવનેશ્વર 32 બોલમાં 16 રન કરીને આઉટ થયો હતો. રાહુલ ચાહર 5 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. વરુણ ચક્રવર્તીએ શૂન્ય પર આઉટ થયો હતો. કુલદીપ યાદવે અણનમ 23 રન, 28 બોલમાં કર્યા હતા. ચેતન સાકરીયાએ અણનમ 5 રન કર્યા હતા.
વાનિન્દુ હસારંગા ભારત સામે આજે શ્રીંલંકાનો સફળ બોલર રહ્યો હતો. તેણે 4 વિકેટ ઝડપી હતી. તેણે માત્ર 9 રન આપ્યા હતા. દાશુન શનાકાએ 4 ઓવરમાં 20 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રમેશ મેન્ડીસે 1 વિકેટ ઝડપી હતી. અકીલા ધનંજ્યે 4 ઓવરમાં 11 રન આપ્યા હતા. જોકે તેને વિકેટ નહોતી મળી શકી. દુષ્મંથા ચામિરા એ 4 ઓવરમાં 16 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.