ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે ત્રણ T20 મેચની શ્રેણી આજથી શરુઆત થવા જઈ રહી છે. વનડે સિરીઝ જીત્યા બાદ ભારતની યુવા ટીમ ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલી છે. ટીમ આ ઉત્સાહને T20 શ્રેણીમાં લઈ જવા માંગશે. શ્રીલંકાએ છેલ્લી વનડેમાં જીત મેળવીને સફળતાનો સ્વાદ ચાખ્યો છે, તેથી તેને હળવામાં લેવુ મોંઘું પડી શકે છે. T20 સિરીઝ દરમિયાન પણ કેટલાક નવા ખેલાડીઓ ભારત તરફથી ડેબ્યુ કરતા જોઇ શકાય એમ લાગી રહ્યુ છે. તેમાંથી વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) નું નામ મોખરે છે.
આ મિસ્ટ્રી સ્પિનર ઓસ્ટ્રેલિયા અને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે ડેબ્યુ કરવાનો હતો. પરંતુ કમનસીબે ઈજાને કારણે તેમ થઇ શક્યું નહોતુ. પરંતુ હવે આવી કોઈ સમસ્યા નથી, જ્યારે T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયામાં પોતાને રજૂ કરવાની સોનેરી તક મળશે. ચક્રવર્તીની સાથે, ટીમ ઈન્ડિયા પાસે ઘણા મજબૂત ખેલાડીઓ છે, જેમણે IPL માં ધમાલ મચાવી હતી.
છેલ્લી વનડે હારી જવા છતાં, ભારતીય ટીમ દરેક રીતે તેના હરીફથી આગળ છે. આવી સ્થિતિમાં ચક્રવર્તીના આગમન સાથે બોલિંગમાં ભારતની ધાર વધી શકે છે. કોચ રાહુલ દ્રાવિડની ઇચ્છા છે કે, આ બોલરની પરખ થાય. ચક્રવર્તી પાસે ઓફબ્રેક અને કેરમ બોલની સાથે બોલને જમણા હાથના બેટ્સમેનોથી દૂર લઈ જવાની ક્ષમતા છે.
આ 29 વર્ષીય બોલરે IPL 2020 અને 2021 માં ઘણા પ્રભાવિત કર્યા છે. આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યા પછી, તેણે ક્રિકેટમાં પોતાની જાતને અજમાવી હતી. ત્યારબાદ, તમિલનાડુ પ્રીમિયર લીગમાં ધૂમ મચાવીને IPLની ટીકીટ મેળવી હતી. જ્યાં તે કોલકાતા નાઈટ રાઇડર્સ ટીમનો હિસ્સો છે.
જ્યારે ટી -20 શ્રેણી દરમિયાન દેવદત્ત પડિક્કલ અને ઋતુરાજ ગાયકવાડમાંથી કોઇ એક ભારત માટે ડેબ્યૂ કરી શકે છે. પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ ઇંગ્લેન્ડ જવાના છે. આવી સ્થિતિમાં, તેમનું સ્થાન નિશ્ચિત મનાઇ રહ્યુ છે. બીજી તરફ સંજુ સેમસન અને ઇશાન કિશન બંને પ્લેયિંગ ઇલેવનમાં રહેશે તેવી સંભાવના છે. મનીષ પાંડેને ભાગ્યે જ રમાડવામાં આવી શકે છે. બીજી તરફ, હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યા બંને નીચલા ઓર્ડરની જવાબદારી સંભાળશે. ભુવનેશ્વર કુમાર અને દિપક ચાહર ની ઝડપી બોલિંગ માટે જવાબદારી રહેશે. ત્યારબાદ સ્પિન વિભાગમાં કૃણાલ પંડ્યા અને વરુણ ચક્રવર્તી સાથે યુઝવેન્દ્ર ચહલ હોઇ શકે છે.
જ્યારે શ્રીલંકાની વાત આવે છે, ત્યારે તે ઘરઆંગણે નવ વર્ષમાં ભારત સામે પ્રથમ જીત મેળવ્યા બાદ પરિસ્થિતિને બદલવા માંગશે. દાસુન શનાકા એક યુવા કેપ્ટન છે. પરંતુ તે મેદાન પર ખૂબ સક્રિય છે. ભાનુકા રાજપક્ષે, ચામિકા કરુનારાત્ને અને આવિષ્કા ફર્નાન્ડો જેવા ખેલાડીઓએ વનડે શ્રેણીમાં સારુ પ્રદર્શન બતાવ્યું હતું. તેઓ તેને T20 માં જાળવી રાખવા માંગશે. અકિલા ધનંજયા અને પ્રવીણ જયવિક્રમા સ્પિન વિભાગમાં ભારત સામે મુશ્કેલી બની શકે છે.