Team India માંથી બે ખેલાડીઓ બહાર થયા, ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી વિજય બાદ ભારતીય ટીમને લાગ્યો મોટો ઝટકો
ભારતીય ટીમ (Indian Cricket Team) ને 28 સપ્ટેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20 સીરીઝ રમવાની છે અને આ સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયા (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે.
મોહમ્મદ શમી (Mohammed Shami) ની ભારતની T20 ટીમમાં વાપસીમાં વિલંબ થઈ શકે છે. શમીને ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા કોવિડ થયો હતો અને તે હજુ સુધી સ્વસ્થ થઈને પરત ફર્યો નથી. આ કારણોસર, તે દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) સામેની T20 શ્રેણીમાં રમવાનું નિશ્ચિત નથી. એક મીડિયા અહેવાલમાં આ જાણકારી આપી છે. આ સિવાય ટીમ ઈન્ડિયા (Team India) ને વધુ એક ઝટકો લાગી શકે છે. દીપક હુડ્ડા પણ આ શ્રેણીમાંથી બહાર થઈ શકે છે. તેને પીઠમાં ઈજા છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન BCCI એ કહ્યું હતું કે દીપકને પીઠમાં ઈજા છે અને તેથી તે પસંદગી માટે ઉપલબ્ધ નથી. જો કે આ માહિતી ફક્ત ત્રીજી મેચ વિશે હતી, પરંતુ હવે મીડિયા અહેવાલ મુજબ, આ ઈજાને કારણે, તે દક્ષિણ આફ્રિકા સામે મેદાનમાં પણ ઉતરશે નહીં.
શમી તિરુવનંતપુરમ પહોંચ્યો નથી
મીડિયા રિપોર્ટમાં લખ્યું છે કે શમી ટીમ ઈન્ડિયા સાથે તિરુવનંતપુરમ ગયો નથી. જ્યાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ T20 મેચ રમાવાની છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં ટીમમાં તેના સ્થાને આવેલા ઉમેશ યાદવ ટીમ સાથે કેરળ પહોંચી ગયો છે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે તે દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ટીમનો ભાગ છે. દક્ષિણ આફ્રિકા રવિવારે જ કેરળ પહોંચી ગયું છે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે શમી ટી20 વર્લ્ડ કપ માટે ટીમ સાથે ઓસ્ટ્રેલિયા જશે કે નહીં. અહેવાલમાં એક સ્ત્રોતને ટાંકીને કહ્યું કે, “તેને સંપૂર્ણ રીતે ફિટ થવામાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ મેડિકલ અપડેટ નથી. પણ અત્યારે તેની તબિયત સારી નથી.”
જોકે શમી ટી20 વર્લ્ડ કપની મુખ્ય ટીમમાં નથી. તેને સ્ટેન્ડબાય માટે પસંદ કરવામાં આવ્યો છે.
શ્રેયસ અય્યરને મળી શકે છે મોકો
હુડ્ડાની ઈજાને જોતા શ્રેયસ અય્યરને ટીમમાં સામેલ કરી શકાય છે. હુડ્ડા નેશનલ ક્રિકેટ એકેડમીમાં પોતાની ઈજા પર કામ કરશે. તે પણ ટીમ સાથે કેરળ ગયો નથી. તેમના સ્થાને અય્યર કેરળ જઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉમરાન મલિકને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ભારતને ટી-20 વર્લ્ડ કપ પહેલા પોતાની ખામીઓ પર કામ કરવાની તક આપશે. ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં ટીમ ઈન્ડિયાને ઘણી નબળાઈઓ જાણવા મળી હતી જેના પર તે દક્ષિણ આફ્રિકા સામે કામ કરવા ઈચ્છે છે.