ભારત અને ઇંગ્લેન્ડ (India Vs England) વચ્ચે પાંચમી અને સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ માંચેસ્ટરમાં રમાનારી છે. ભારતીય ટીમ (Team India) પાંચ મેચોની ટેસ્ટ સિરીઝમાં 2-1 થી આગળ ચાલી રહી છે. આ દરમ્યાન હવે માંચેસ્ટર (Manchester Test) ના ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં જીત મેળવવા માટે પુરો દમ લગાવી દેશે. કારણ કે ભારતીય ટીમને સિરીઝ પોતાને નામે કરવાની સોનેરી તક છે. આ દરમ્યાન અંતિમ અને મહત્વની ટેસ્ટ મેચમાં સ્ટાર સ્પિનર અશ્વિન (Ashwin) ને અંતિમ ઇલેવનમાં તક મળવાને લઇને ચર્ચાઓ ચાલી રહી છે.
અશ્વિનનો રેકોર્ડ માંચેસ્ટર ટેસ્ટમાં બોલની સાથે બેટથી સારો રહ્યો છે. ભારતીય ટીમે અંતિમ ટેસ્ટ મેચ અહી 2014 માં રમી હતી. જે દરમ્યાન ભારતીય ટીમે હાર મેળવી હતી. ભારતે તે મેચને એક ઇનીંગ અને 54 રનથી શરમજનક હાર મેળવી હતી. જે મેચમાં પ્રથમ દાવ દરમ્યાન ભારતીય ટીમની કપરી સ્થિતીમાં અશ્વિનના બેટે રાહત સર્જી હતી. ભારતીય ટીમ 8 રન પર જ ટોપ ઓર્ડરની 4 વિકેટ ગુમાવી દીધી હતી.
મુરલી વિજય, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને રવિન્દ્ર જાડેજા સહિતના બેટ્સમેનો ખાતુ ખોલાવ્યા વિના જ વિકેટ ગુમાવી બેઠા હતા. અશ્વિને મુશ્કેલ ઘડીમાં કેપ્ટન એમએસ ધોનીને જબરદસ્ત સાથ આપ્યો હતો. અશ્વિન અને ધોનીની જોડીએ ભારતીય ટીમનો સ્કોર 100 ને પાર કરાવ્યો હતો અને મુશ્કેલ સ્કોરથી ટીમને બહાર લઇ જવામાં અશ્વિને મહત્વની ભૂમિકા ભજવી હતી. અશ્વિને ધોની સાથેની તે ભાગીદારી રમત દરમ્યાન 42 બોલમાં 40 રનની ઇનીંગ રમી હતી. જ્યારે ધોનીએ 71 રનની ઇનીંગ રમી હતી.
ભારતીય ટીમ પ્રથમ ઇનીંગમાં જેમ મુશ્કેલમાં મુકાઇ હતી એમ બીજી ઇનીંગ પણ મુશ્કેલી ભરી રહી હતી. ભારતીય ટીમ એક બાદ એક વિકેટ ગુમાવી હતી. જે દરમ્યાન પણ ધોની અને અશ્વિનની જોડી ફરી એકવાર સંકટ મોચન બની હતી. ધોનીએ 27 રનની ઇનીંગ રમી હતી. અશ્વિને 56 બોલમાં 46 રનની અણનમ ઇનીંગ રમી હતી. ભારતીય ટીમની વિકેટો એક બાદ એક ગુમાવવા દરમ્યાન અશ્વિને પોતાની વિકેટ ટકાવીને ભારતીય ટીમની મુશ્કેલીઓ સામે લડાઇ ભરી રમત રમવાનો પ્રયાસ કર્યો હતો.
અશ્વિન ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં અત્યાર સુધી બેન્ચ પર બહાર બેસવુ પડ્યુ છે. પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાંથી ચાર ટેસ્ટ મેચમાં અશ્વિનનો ટીમમાં સમાવેશ થઇ શક્યો નથી. રવિન્દ્ર જાડેજા ઓલરાઉન્ડરના રુપમાં ટીમમાં સતત સ્થાન મેળવી શક્યો છે. માંચેસ્ટર ટેસ્ટમાં અશ્વિનનો સમાવેશ થવાની આશા વર્તાઇ રહી છે.
Published On - 12:57 pm, Fri, 10 September 21