ઈંગ્લેન્ડ પ્રવાસ (England Tour) દરમ્યાન ભારતીય ટીમ (Team India)ને જબરદસ્ત ઝટકો લાગ્યો છે. ટીમનો મહત્વનો ખેલાડી કોરોનાની ઝપેટમાં આવ્યો છે. ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant)ને મળેલી ત્રણ સપ્તાહની રજાઓ માણવા દરમ્ચાન કોરોના સંક્રમણ લાગ્યુ હતુ. જેને લઈ તે હાલમાં આઈસોલેશન હેઠળ છે. મીડિયા રિપોર્ટનુસાર ઋષભ પંત લંડનમાં જ પોતાના સંબંધીને ત્યાં આઈસોલેશન હેઠળ છે. તે ગુરુવારે ટીમ સાથે ડરહમ નહીં પહોંચી શકે.
BCCIના સુત્રો દ્વારા ઋષભ પંતે સંક્રમિત હોવાની પુષ્ટી કરી હતી. સાથે જ બતાવ્યુ હતુ કે છેલ્લા 8 દિવસથી તેને આઈસોલેશન હેઠળ રાખવામાં આવ્યો હતો. તેનામાં કોઈ પણ પ્રકારના લક્ષણ જણાઈ આવ્યા નથી. સુત્રો મુજબ ઋષભ પંત ટીમના અન્ય સભ્યોની સાથે ડરહમ નથી પહોંચી રહ્યો. ભારતીય ટીમે ટેસ્ટ સિરીઝની શરુઆત પહેલા ડરહમમાં એક અભ્યાસ મેચ રમવાની છે.
જોકે એ વાત હજુ સ્પષ્ટ નથી કે ઋષભ પંત ટીમના બાકીના સભ્યો સાથે ફરીથી ક્યારે જોડાશે. જાણકારી મુજબ ઋષભ પંત કોરોનાના નવા ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત છે. જેના અનેક કેસો યુનાઈટેડ કિંગડમમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન જોવા મળ્યા છે.
BCCI સેક્રેટરી જય શાહે (Jay Shah) તાજેતરમાં તમામ સભ્યોને એક ઈમેઈલ મોકલ્યો હતો. જેમાં સૌને ભીડ વાળા સ્થળોથી બચવા માટે સલાહ આપવામા આવી હતી. જય શાહે મેઈલ દ્વારા ખેલાડીઓ અને ટીમ મેનેજમેન્ટના સભ્યોને વિશેષરુપે UAFA યૂરો 2020 અને વિમ્બિલ્ડન જેવા આયોજનોને લઈ સતર્ક કર્યા હતા. શાહે લખ્યુ હતુ કે ભારતીય ખેલાડીઓ આ મોટી ટૂર્નામેન્ટોમાં જવાથી દૂર રહે.
જોકે અન્ય કેટલાક ખેલાડીઓની માફક જ ઋષભ પંત પણ યૂરો 2020ની મેચ માણવા માટે લંડનના વેમ્બલી સ્ટેડિયમ પહોંચ્યો હતો. જોકે એ વાત સ્પષ્ટ નથી કે ઋષભ પંતને યૂરો ટૂર્નામેન્ટમાં જવાથી જ કોરોના સંક્રમિત થયો છે. ભારતીય ખેલાડી પાછલા મહિને આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ બાદથી 20 દિવસની રજાઓ પર હતા.
Good experience watching ⚽️. 🏴 vs 🇩🇪 pic.twitter.com/LvOYex5svE
— Rishabh Pant (@RishabhPant17) June 30, 2021
આ દરમ્યાન BCCI ઉપાધ્યક્ષ રાજીવ શુકલાએ વાતની પુષ્ટી કરી હતી કે એક ખેલાડી કોરોના સંક્રમિત છે. સાથે જ તેઓએ સ્પષ્ટ કર્યુ હતુ કે તે ખેલાડી અન્ય કોઈ ખેલાડીના સંપર્કમાં આવ્યો નહોતો. સાથે જ શુકલાએ કહ્યું હતુ કે તે ખેલાડી 8 દિવસથી આઈસોલેશન હેઠળ છે. તે ટીમ સાથે કોઈ હોટલમાં રોકાયો નથી. જેના કારણે અન્ય કોઈ ખેલાડી સંક્રમિત નથી.