ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી20 વિશ્વકપ ની સુપર 12 ની મેચ એડિલેડમાં રમાઈ રહી છે. ભારતે ટોસ હારીને સારી શરુઆત કરી હતી. જોકે ભારતીય સુકાની રોહિત શર્માની વિકેટ ભારતે ઝડપથી ગુમાવી દીધી હતી. કેએલ રાહુલ અને વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી નોંધાવી હતી. બંને ટીમો માટે સેમિફાઈનલમાં પહોંચવા માટે આજની મેચ મહત્વની છે અને બંને ટીમો પૂરો દમ લગાવી રહેલી જોવા મળી રહી છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 184 રન નોંધાવ્યા હતા.
રોહિત શર્મા ફરી એકવાર ઝડપથી વિકેટ ગુમાવી બેઠો હતો. તે ભારતીય ટીમના 11 રનના સ્કોર પર જ ચોથી ઓવરમાં પરત ફર્યો હતો. તેણે 8 બોલનો સામનો કરીને માત્ર 2 રનનુ યોગદાન આપ્યુ હતુ. જોકે બાદમાં વિરાટ કોહલી અને કેએલ રાહુલે રમતને આગળને વધારી હતી. બંને વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાઈ હતી. કોહલી અને રાહુલે અડધી સદી નોંધાવી હતી.
વિરાટ કોહલીએ શાનદાર ઈનીંગ રમી હતી. તેણે વિશ્વકપમાં વધુ એક અડધી સદી નોંધાવી હતી. કોહલીએ 44 બોલનો સામનો કરીને અંત સુધી ક્રિઝ પર રહી 64 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન 8 ચોગ્ગા અને 1 છગ્ગો કોહલીએ જમાવ્યો હતો. કોહલીએ અંત સુધી રહીને ટીમનો સ્કોર ઉંચો લઈ જવામાં મહત્વની ભૂમિકા નોંધાવી હતી.
કેએલ રાહુલ છેલ્લા કેટલાક સમયથી રન નોંધાવી રહ્યો નહોતો. પરંતુ આજે તેણે 32 બોલમાં શાનદાર અડધી સદીની રમત રમી હતી. આ દરમિયાન તેણે 4 છગ્ગા પણ જમાવી દીધા હતા. આમ 50 રનની રમત રમીને શાકિબનો શિકાર થતા પરત ફર્યો હતો. વિરાટ કોહલી બાદ સૂર્યકુમાર યાદવે નાની પણ જબરદસ્ત અંદાજ મુજબ જ રન નિકાળ્યા હતા. તેણે 4 ચોગ્ગા ની મદદથી 16 બોલમાં 30 રન નોંધાવ્યા હતા.
જોકે બાદમાં ભારતીય ટીમના ખેલાડીઓની વિકેટ પડવાનો સિલસિલો શરુ થયો હતો. સૂર્યા બાદ હાર્દિક પંડ્યા માત્ર 5 રન અને દિનેશ કાર્તિક 7 રન અને અક્ષર પટેલ પણ 7 રન નોંધાવી પરત ફર્યો હતો. જોકે અંતમાં રવિચંદ્રન અશ્વિને ક્રિઝ પર આવતા નાનકડી પણ રન નિકાળનારી ઈનીંગ રમી હતી. તેણે એક શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. અશ્વિને 6 બોલમાં 13 રન નોંધાવ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી હસન મહેમૂદ અને શાકિબ અલ હસને વિકેટ ઝડપતી બોલીંગ કરી હતી. જ્યારે તસ્કિન અહેમદે કરકસર ભરી ઓવર કરીને પરેશાની સર્જી હતી. હસને 4 ઓવરમાં 47 આપીને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે કેપ્ટન શાકિબે 33 રન ગુમાવી 2 વિકેટ ઝડપી હતી.
Published On - 3:15 pm, Wed, 2 November 22