ICC T20 WC Breaking News: પાકિસ્તાને મેચ પહેલા વીડિયો વાયરલ કરી રચ્યું ‘ગંદુ કાવતરું’, રાજીવ શુક્લાએ પાકિસ્તાનીઓને પાડી દીધા ‘ઉઘાડા’

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાની ટીમ તેની રમત કરતા મેદાનની બહારની તેની 'નૌટંકી'ને કારણે વધુ ચર્ચામાં છે. જો કે, આ 'નૌટંકી'ની પોલ રાજીવ શુક્લાએ ખોલી દીધી છે.

ICC T20 WC Breaking News: પાકિસ્તાને મેચ પહેલા વીડિયો વાયરલ કરી રચ્યું ગંદુ કાવતરું, રાજીવ શુક્લાએ પાકિસ્તાનીઓને પાડી દીધા ઉઘાડા
| Updated on: Feb 12, 2026 | 12:40 PM

આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાની ટીમ તેની રમત કરતા મેદાનની બહારની તેની ‘નૌટંકી’ને કારણે વધુ ચર્ચામાં છે. આઈસીસીએ જ્યારે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો, ત્યારથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ તરફથી નૌટંકી શરૂ થઈ ગઈ હતી, જેમાં તેમણે ભારતીય ટીમ સામે 15 ફેબ્રુઆરીએ યોજાનારા મુકાબલાનો બહિષ્કાર (બાયકોટ) કરવાનો નિર્ણય લીધો હતો, જેની જાહેરાત ખુદ તેમની સરકાર અને વડાપ્રધાન બંને તરફથી કરવામાં આવી હતી.

જૂઠાણાનો સહારો લીધો

પાકિસ્તાન તરફથી જ્યારે આ જાહેરાત કરવામાં આવી, ત્યારે જ સૌ કોઈ જાણતા હતા કે, મેચ નજીક આવતા જ તેઓ આ નિર્ણય પર ‘યુ-ટર્ન’ લેશે અને આવું જ કંઈક જોવા પણ મળ્યું. બીજી તરફ, પાકિસ્તાન પોતાનું મોઢું છુપાવવા માટે જૂઠાણાનો સહારો લઈ રહ્યું છે, જેમાં તેમની મીડિયા તરફથી હવે સતત જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. આ બાબતે તેમણે બીસીસીઆઈ (BCCI) ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના એક એવા નિવેદનનો ઉપયોગ કર્યો જેમાં એઆઈ (AI) દ્વારા જૂઠાણાનો સહારો લેવામાં આવ્યો હતો.

પાકિસ્તાની ટીમના ભૂતપૂર્વ કેપ્ટન શોએબ મલિકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ બીસીસીઆઈ (BCCI) ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું એક એવું નિવેદન ચલાવી રહ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈની સતત વિનંતી પર આઈસીસીએ પાકિસ્તાન સાથે વાત કરી અને પાકિસ્તાનને ભારત સામે રમવા માટે રાજી કર્યું. પાકિસ્તાની મીડિયા ચેનલે બીસીસીઆઈ ઉપાધ્યક્ષનો આ વીડિયો AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) નો ઉપયોગ કરીને અને જૂઠાણાનો સહારો લઈને ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.

રાજીવ શુક્લાએ ખોલી ‘પોલ’

આ વીડિયો સામે આવ્યા બાદ બીસીસીઆઈ ઉપાધ્યક્ષે પાકિસ્તાનના આ જૂઠાણાને ખુલ્લું પાડવામાં જરાય વાર ન લગાડી. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ (ટ્વિટર) પર પોસ્ટ કરતા લખ્યું કે, “ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્લ્ડ કપ મેચને લઈને મારા એક નિવેદનના વીડિયોમાં AIનો ઉપયોગ કરીને ઓડિયો બદલી દેવામાં આવ્યો છે. આ વાતો મારી નથી. હું દરેકને વિનંતી કરું છું કે, આ ગેરમાર્ગે દોરનારા કન્ટેન્ટ પર વિશ્વાસ ન કરે અને તેને શેર પણ ન કરે. બીજું કે, જ્યાં પણ આવા વીડિયો દેખાય, ત્યાં તેની રિપોર્ટ કરો.”

ક્રિકેટ બોર્ડ સાથેની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો

પાકિસ્તાન તરફથી બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના જે નકલી વીડિયો દ્વારા જૂઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તેના અસલી વીડિયોને જોવામાં આવે તો, તેમણે પાકિસ્તાનના ‘યુ-ટર્ન’ લેવા પર કહ્યું હતું કે, “હું બીસીસીઆઈ તરફથી આઈસીસી પ્રમુખ જય શાહ અને તેમના પદાધિકારીઓનો ખૂબ જ સારો ઉકેલ લાવવા બદલ આભાર વ્યક્ત કરવા માંગુ છું. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ-બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ સાથેની ચર્ચા બાદ અને તમામ પક્ષોની વાત સાંભળ્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ક્રિકેટ માટે ઘણો મહત્વનો છે. ક્રિકેટ ચાલુ રહેવું જોઈએ અને હવે વર્લ્ડ કપને મોટી સફળતા મળશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ દરેક માટે મહત્વનું છે.” તમને જણાવી દઈએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2026માં ગ્રુપ-Aનો મુકાબલો 15 ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે કોલંબોમાં રમાશે.

Breaking News: બાંગ્લાદેશને થયું પોતાની ભૂલનું ભાન, ICCની માફી પછી BCCI સાથે સંબંધો સુધારવાની તૈયારી

Follow Us