T20 WC Breaking : સુપર 8 માં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ, પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ

સુપર 8 રાઉન્ડમાં ભારત-દક્ષિણ આફ્રિકા મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ભારતે ગ્રુપ સ્ટેજમાં છેલ્લી મેચ અહીં રમી હતી. તેથી, ભારતને આ પિચનો સારો ખ્યાલ છે. જાણો આ મેચમાં પિચ કેવી હશે?

T20 WC Breaking : સુપર 8 માં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ, પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ
T20 World Cup
Image Credit source: X
| Updated on: Feb 21, 2026 | 11:36 PM

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઇનલની રેસ માટે આ મુકાબલો નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. બંને ટીમો અજેય અભિયાન સાથે આવી રહી હોવાથી પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે.

ભારત vs દક્ષિણ આફ્રિકા

સુપર 8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મુકાબલો ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે. ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી બંને ટીમો આત્મવિશ્વાસથી ભરપૂર છે. ચારેય મેચ જીત્યા બાદ સુપર 8 માં પ્રવેશ કરનાર આ બંને દાવેદારો હવે સેમિફાઇનલની નજીક પહોંચવા માટે એકબીજાને ટક્કર આપશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો

મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ભારતે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ પણ આ જ મેદાન પર રમી હતી, જેના કારણે ટીમને પિચની પ્રકૃતિનો સારો અંદાજ છે. નેધરલેન્ડ્સ સામેની મેચ દરમિયાન ટીમ મેનેજમેન્ટે ટોસ અને ઝાકળને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ગોઠવી હતી.

મોટો સ્કોર બનવાની સંભાવના

અમદાવાદની પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ ગણાય છે. બોલ સારી રીતે બેટ પર આવે છે અને આઉટફિલ્ડ ઝડપી હોવાથી બાઉન્ડ્રી મેળવવી સહેલી બને છે. મેદાનનું કદ મોટું હોવા છતાં ગેપ શોધી રન બનાવવાની તક મળે છે. તેથી અહીં મોટો સ્કોર બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

બોલરો માટે પડકાર

જો કે, બોલરો માટે અહીં પડકાર ઓછો નથી. જો લાઇન અને લેન્થમાં નાની ભૂલ થાય તો બેટ્સમેન તેનો પૂરો લાભ ઉઠાવી શકે છે. ખાસ કરીને પાવરપ્લે અને ડેથ ઓવરમાં ચોકસાઈ જરૂરી રહેશે. સ્પિનરોને પણ મધ્ય ઓવરમાં રન રોકવા માટે સાંભળીને બોલિંગ કરવી પડશે.

ઝાકળ મહત્વપૂર્ણ પરિબળ

ઝાકળ (ડ્યૂ) આ મેચમાં મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે. બીજી ઇનિંગ દરમિયાન બોલ ભીનો થવાથી બોલરોને ગ્રીપમાં મુશ્કેલી પડે છે. તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે, જેથી લક્ષ્યનો પીછો કરતી વખતે બેટિંગ સરળ બને.

વરસાદની કોઈ શક્યતા નથી

હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે અને વરસાદની કોઈ શક્યતા નથી. સાંજે તાપમાન 24 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે, જ્યારે ભેજ 40 ટકા આસપાસ રહેવાની સંભાવના છે. આમ, ખેલાડીઓ અને દર્શકો બંને માટે અનુકૂળ વાતાવરણમાં એક રોમાંચક મુકાબલો જોવા મળશે.

Breaking News: શિખર ધવન ફરી બન્યો વરરાજા, સોફી શાઇન સાથે કર્યા લગ્ન, આ સ્ટાર ખેલાડી લગ્નમાં પહોંચ્યો