
2026 ના T20 વર્લ્ડ કપના 18 મા મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઈન્ડિયા ગ્રુપ A માં નામિબિયા સામે ટકરાશે. ટુર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચેનો બીજો મુકાબલો છે. બંને ટીમો નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એકબીજા સામે ટકરાશે.
ટીમ ઈન્ડિયાએ પોતાના અભિયાનની શરૂઆત યુએસએને હરાવીને કરી હતી, જ્યારે પોતાની પહેલી મેચમાં નેધરલેન્ડ્સ સામે હારી ગયેલ નામિબિયા મજબૂત ટીમ ઈન્ડિયાને પડકારવા માટે તૈયાર છે. જો ભારત આ મેચમાં નામિબિયાને હરાવે છે, તો સુપર 8 રાઉન્ડમાં તેનું સ્થાન નિશ્ચિત થઈ જશે. આમ, સૂર્યકુમારની ટીમ કોઈપણ દબાણ વિના આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થવા માંગશે.
નામિબિયાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ સાથે, બંને ટીમોના પ્લેઇંગ ઇલેવનની પણ જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ, બંને ટીમોમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયામાં બે ફેરફાર કરવામાં આવ્યા છે, બીમારીથી પીડાતો અભિષેક શર્મા હજુ સ્વસ્થ થયો નથી, તેથી તેના સ્થાને સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે. તેવી જ રીતે, મોહમ્મદ સિરાજના સ્થાને જસપ્રીત બુમરાહ ટીમમાં પરત ફર્યા છે, સૂર્યકુમારે માહિતી આપી.
અભિષેક શર્માના સ્થાને ટીમ ઈન્ડિયા સામેલ કરવામાં આવેલ સંજુ સેમસન ફરી ફ્લોપ સાબિત થયો હતો. સંજુ સેમસને ધમાકેદાર શરૂઆત કરી હતી અને ત્રણ સિક્સર ફટકારી હતી, જો કે તે લાંબી ઈનિંગ ના રમી શક્યો અને 12 બોલમાં 17 રન બનાવી આઉટ થયો હતો.
આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયા અને નામિબિયા T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે રમી રહ્યા છે. આ પહેલા 2021ના T20 વર્લ્ડ કપમાં જ્યારે બંને ટીમો એકબીજા સામે આવી હતી ત્યારે ટીમ ઈન્ડિયાએ નામિબિયાને હરાવ્યું હતું. દુબઈમાં રમાયેલી તે મેચમાં વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમે 9 વિકેટથી એકતરફી વિજય મેળવ્યો હતો.
ટીમ ઈન્ડિયા : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, ઈશાન કિશન (વિકેટ કીપર), તિલક વર્મા, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ અને જસપ્રીત બુમરાહ.
નામિબિયા : ગેરહાર્ડ ઇરાસ્મસ (કેપ્ટન), લોરેન્ટ સ્ટીનલેમ્પ, જાન ફ્રીલિંક, જોન નિકોલ લોફ્ટી-એથન, જેજે સ્મિટ, જેન ગ્રીન (વિકેટકીપર), રુબેન ટ્રમ્પેલમેન, માલન ક્રુગર, બર્નાર્ડ સ્કોલ્ટ્ઝ, બેન શિકોંગો અને મેક્સ હિંગો.
Published On - 7:18 pm, Thu, 12 February 26