
T20 વર્લ્ડ કપ 2026ની સેમિફાઇનલમાં ભારતે ઈંગ્લેન્ડ સામે શાનદાર જીત મેળવી ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. હવે ટીમ ઈન્ડિયા ટ્રોફી માટે ન્યુઝીલેન્ડ સામે ટકરાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ફાઇનલ મેચ માટેની ટિકિટો સત્તાવાર રીતે BookMyShow અને ICCના ઓફિશિયલ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી હતી. ભારે માંગને કારણે ટિકિટની ઘણી કેટેગરીઝ થોડા જ સમયમાં સોલ્ડ આઉટ થઈ ગઈ છે. તેમ છતાં, હજુ કેટલાક ચાહકોને ટિકિટ મેળવવાની આશા છે.
સામાન્ય રીતે મોટી ક્રિકેટ મેચો પહેલા 24 થી 48 કલાક દરમિયાન કેટલીક ટિકિટો ફરીથી રિલીઝ કરવામાં આવતી હોય છે. સેમિફાઇનલ દરમિયાન પણ આવી સ્થિતિ જોવા મળી હતી. તેથી જે ચાહકોને હજુ ટિકિટ મળી નથી તેમણે સત્તાવાર વેબસાઇટ અને એપ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી રહી છે.
ટિકિટના ભાવની વાત કરીએ તો ઉપરના સ્ટેન્ડ માટે ટિકિટ લગભગ ₹3,000થી શરૂ થાય છે. જ્યારે પ્રીમિયમ હોસ્પિટાલિટી, ક્લબ લાઉન્જ અને ખાસ સીટિંગ કેટેગરી માટે ટિકિટનો ભાવ ₹50,000થી ₹75,000 સુધી પહોંચી શકે છે.
ફાઇનલ મેચને ધ્યાનમાં રાખીને સ્ટેડિયમમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સ્ટેડિયમના દરવાજા સાંજે 4 વાગ્યે ખૂલશે જ્યારે મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સિક્યુરીટી ચેકિંગને ધ્યાનમાં રાખીને દર્શકોને સમય પહેલાં સ્ટેડિયમ પહોંચવાની સલાહ આપવામાં આવી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ માટે કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પાવર બેંક, મોટા બેગ, પાણીની બોટલ અને છત્રી જેવી વસ્તુઓ અંદર લઈ જવાની મંજૂરી નહીં મળે. દર્શકોને ફક્ત મોબાઇલ ફોન અને પાકીટ જેવી જરૂરી વસ્તુઓ સાથે જ પ્રવેશ આપવામાં આવશે.
અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. અહીં લગભગ 1.30 લાખ દર્શકો બેસી શકે તેવી ક્ષમતા છે. મોટી સંખ્યામાં લોકો એકઠા થવાના કારણે મોબાઇલ નેટવર્ક પર અસર પડી શકે છે, તેથી ચાહકોને તેમની ડિજિટલ ટિકિટ અગાઉથી ડાઉનલોડ કરીને ઑફલાઇન સાચવી રાખવાની સલાહ આપવામાં આવી છે.