
T20 વર્લ્ડ કપની ફાઈનલ હંમેશા ખાસ હોય છે, પરંતુ આ વખતની મેચ અનેક કારણોસર ઐતિહાસિક બની શકે છે. જો ભારત જીતશે તો ટીમ સતત બીજી વખત T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ દેશ બનશે. બીજી તરફ, ન્યુઝીલેન્ડ પાસે પ્રથમ વખત ટાઈટલ જીતવાની મોટી તક છે. તેથી બંને ટીમો માટે આ મુકાબલો અત્યંત મહત્વનો છે.
ફાઈનલ પહેલાં અમદાવાદની પિચને લઈને મહત્વનો અપડેટ સામે આવ્યો છે. મીડિયા અહેવાલ મુજબ પિચ લાલ અને કાળી માટીના મિશ્રણથી તૈયાર કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે તેમાં લાલ માટીનું પ્રમાણ વધુ હોવાનું કહેવાઈ રહ્યું છે, જે સામાન્ય રીતે બેટ્સમેનોને વધુ અનુકૂળ હોય છે.
ક્રિકેટ નિષ્ણાતોના મતે આવી પિચ પર બોલને સારો ઉછાળો મળે છે અને બેટ્સમેનોને શોટ રમવામાં સરળતા રહે છે. જો બેટ્સમેન શરૂઆતમાં સેટ થઈ જાય તો મોટો સ્કોર ઉભો કરવાની સંભાવના વધી જાય છે. તેથી ફાઇનલમાં રનોની વરસાત જોવા મળી શકે છે.
અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પિચ કંઈક હદ સુધી મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઈનલ જેવી હોઈ શકે છે. તે મેચમાં ભારતે 253 રન બનાવ્યા હતા અને ઈંગ્લેન્ડે પણ 246 રન સુધી પહોંચતા જબરદસ્ત રનચેઝ કર્યો હતો.
આ સાથે એક મહત્વની માહિતી એવી પણ છે કે ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે ટૂર્નામેન્ટ દરમિયાન મળેલી કેટલીક પિચોને લઈને અસંતોષ વ્યક્ત કર્યો હતો. અહેવાલો મુજબ ટીમ મેનેજમેન્ટે ક્યુરેટર્સ સાથે ચર્ચા કરીને પોતાની ચિંતાઓ જણાવી હતી અને પિચ તૈયાર કરતી પ્રક્રિયા પર પણ નજર રાખી હતી.
જો પિચ ખરેખર બેટિંગ માટે અનુકૂળ બને છે તો ફાઇનલમાં 200થી વધુનો સ્કોર સામાન્ય બની શકે છે. જોકે બંને ટીમોમાં શક્તિશાળી બેટિંગ લાઇન-અપ હોવાથી ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે કે કોને વધારે ફાયદો મળશે. પરંતુ એક વાત નિશ્ચિત છે કે ક્રિકેટપ્રેમીઓને રોમાંચક અને હાઇ-સ્કોરિંગ ફાઇનલ જોવા મળી શકે છે.
Published On - 6:59 pm, Sat, 7 March 26