
ભારતીય ક્રિકેટ ટીમમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભાગ્યે જ એવું બન્યું છે કે ટીમ ઈન્ડિયાને સિરીઝમાં પોતાનું માન અને સન્માન બચાવવાનો પ્રયત્ન કરવો પડ્યો હોય. છેલ્લા અઢીથી ત્રણ વર્ષમાં ભારતીય ટીમ T20 ક્રિકેટમાં વિશ્વની સૌથી મજબૂત ટીમ રહી છે. જેમાં સતત બે T20 વર્લ્ડ કપ પણ જીત્યા છે. પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ટીમ ઈન્ડિયાને સતત હારનો સામનો કરવો પડી રહ્યો છે.
આયર્લેન્ડ સામે વ્હાઇટવોશ થયા પછી ઇંગ્લેન્ડ સામે પણ આવી જ સ્થિતિ ઊભી થઈ છે અને પડકાર એ છે કે સાઉથહેમ્પટનમાં રમાનારી અંતિમ મેચમાં આ શરમજનક સ્થિતિથી બચવું. પરંતુ આ વખતે ટીમને જીત અપાવનાર હાર્દિક પંડ્યા પણ નથી.
હાલમાં રમાઈ રહેલી T20 સિરીઝમાં ભારતીય ટીમને હજુ સુધી એકપણ જીત મળી નથી. સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે રદ થઈ હતી. જ્યારે ઇંગ્લેન્ડે ત્યારબાદની ત્રણેય મેચ જીતી લીધી છે. હવે છેલ્લી મેચમાં પણ ભારત સામે ક્લીન સ્વીપનો ખતરો છે. સવાલ એ છે કે ટીમને આ શરમજનક પરાજયથી કોણ બચાવશે? તેનો જવાબ તો મેચ શરૂ થયા પછી જ મળી શકે છે.
જોકે એટલું ચોક્કસ છે કે જ્યારે છેલ્લી વખત ભારત અને ઇંગ્લેન્ડ સાઉથહેમ્પ્ટનમાં રમ્યા હતા ત્યારે ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી. તે જીતનો સૌથી મોટો પ્લેયર હાર્દિક પંડ્યા હતો. જે હવે આ ભારતીય સિરીઝમાં ટીમનો ભાગ નથી. તે મેચમાં રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ સહિતના ખેલાડીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પરંતુ જીતનો સૌથી મોટો ચહેરો હાર્દિક પંડ્યા જ હતો.
2022માં સાઉથહેમ્પટન ખાતે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમવામાં આવી હતી. આ મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની એકમાત્ર T20 મેચ હતી. પહેલા બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 198 રન બનાવ્યા અને પછી ઇંગ્લેન્ડને 148 રન પર રોકી દીધું હતું. જોકે હાર્દિકે સૌથી વધુ રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ માત્ર 33 બોલમાં 51 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેણે બોલ સાથે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. માત્ર 33 રનમાં 4 વિકેટ લીધી હતી. ભારતે મેચ 50 રનથી જીતી લીધી હતી. હાર્દિક પંડ્યાને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. હવે જોવાનું રહેશે કે હાર્દિક જેવી મેચ વિનિંગ કામગીરી કોઈ અન્ય ખેલાડી કરી શકશે કે નહીં.
Published On - 8:29 am, Sat, 11 July 26