ટીમ ઈન્ડિયા (Team India) ના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી (Virat Kohli) નું ફોર્મ એટલુ ખરાબ થઇ રહ્યું છે કે તે પરત આવવાનું નામ પણ લઈ રહ્યો નથી. ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં પણ વિરાટ કોહલી કંઈ ખાસ કરી શક્યો ન હતો અને માત્ર 17 રન બનાવીને પેવેલિયન ગયો હતો. વિરાટ કોહલીને ઝડપી બોલર રીસ ટોપલીએ વિકેટકીપર જોસ બટલર (Jos Buttler) ના હાથે કેચ આઉટ થયો હતો.
વિરાટ કોહલી (Virat Kohli) આ વર્ષે ઇંગ્લેન્ડ પ્રવાસ પર 6 ઇનિંગ્સમાં માત્ર 76 રન જ બનાવી શક્યો હતો. પ્રથમ એજબેસ્ટન ટેસ્ટ મેચમાં વિરાટ કોહલીએ ભારતની પહેલી અને બીજી ઈનિંગ સહિત કુલ 31 રનનું યોગદાન આપ્યું હતું. આ પછી તે T20 શ્રેણીની બે મેચમાં અનુક્રમે માત્ર 1 અને 11 રન બનાવી શક્યો હતો. હવે વિરાટ કોહલી પાસેથી વનડે શ્રેણીમાં સારા પ્રદર્શનની અપેક્ષા હતી. પરંતુ તે ચાહકોની અપેક્ષાઓ પુરી શક્યો ન હતો. તેણે લોર્ડ્સના મેદાન પર 16 રન બનાવ્યા હતી. તો માન્ચેસ્ટરના મેદાન પર તેણે 17 રનની ઇનિંગ્સ સાથે ઇંગ્લેન્ડનો પ્રવાસ પૂરો કર્યો હતો.
વિરાટ કોહલીને ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકાર્યાને 950 દિવસથી વધુ સમય થઈ ગયા છે. 33 વર્ષીય વિરાટ કોહલી (Virat Kohli) એ નવેમ્બર 2019 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ (International Cricket) માં છેલ્લી સદી ફટકારી હતી. આ સદી તેણે કોલકાતાના ઈડન ગાર્ડનમાં ફટકારી હતી અને તેણે 136 રનની ઈનિંગ રમી હતી. ત્યાર બાદ વિરાટ કોહલીએ 68 મેચમાં 79 ઇનિંગ્સ રમી. જેમાં તેણે કુલ 2554 રન બનાવ્યા. જેમાં 24 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેની એવરેજ 35.47 રહી છે. જે તેની કારકિર્દીની 53.64ની સરેરાશ સાથે મેળ ખાતું નથી. આ આંકડા દર્શાવે છે કે કોહલીનું ફોર્મ કેટલું ઘટી ગયું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં વિરાટ કોહલીને આઉટ કરવાની પેટર્ન ઘણી સમાન રહી છે. ઘણી વખત કોહલી ઓફ સ્ટમ્પની બહાર જતા બોલ પર આઉટ થતો આવ્યો છે. કોહલીએ આવા બોલ પર ઘણા રન બનાવ્યા છે. પરંતુ જ્યારે ફોર્મ ખરાબ હોય છે ત્યારે બેટ્સમેન ખરાબ બોલ પર પણ વિકેટ ગુમાવી દે છે. જ્યાં ઈંગ્લેન્ડ સામેની બીજી વનડેમાં કોહલીને ફાસ્ટ બોલર ડેવિડ વિલીએ ઓફ સ્ટમ્પની બહાર ફેંકેલા બોલ પર આઉટ કર્યો હતો. તો ત્રીજી વનડેમાં પણ કોહલીએ ઓફ-સ્ટમ્પની આસપાસ ફેંકવામાં આવેલા બોલ પર આઉટ થયો હતો.
વિરાટ કોહલીનો ઈંગ્લેન્ડ પ્રવાસ પૂરો થઈ ગયો છે. હવે તે થોડા દિવસો માટે બ્રેક પર રહેશે. કારણ કે તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 અને વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો છે. હવે કોહલી ઓગસ્ટના અંતમાં શરૂ થઈ રહેલા એશિયા કપ દ્વારા ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફરે તેવી શક્યતા છે. વિરામ બાદ વિરાટ કોહલી કેટલી જલ્દી ફોર્મમાં પરત ફરે છે તે જોવું રસપ્રદ રહેશે. T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) ને જોતા કોહલી માટે ફોર્મમાં પરત આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી દિવસોમાં કોહલી કરોડો ભારતીય ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરશે.