ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ (Test Match) પહેલા જ ભારતીય ટીમ (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ શરૂ થવામાં હવે પાંચ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં જો રોહિત શર્મા આ મેચ પહેલા સ્વસ્થ નથી થતો તો ટીમ ઈન્ડિયાની મુશ્કેલી વધી શકે છે.
રોહિત બહાર થતા ટીમ ઈન્ડિયા સુકાનીની શોધમાં છે. બીસીસીઆઈએ 5મી ટેસ્ટ માટે કોઈપણ ઉપ-કેપ્ટનના નામની જાહેરાત કરી ન હતી. જો રોહિત નહીં રમે તો રિષભ પંત પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કપ્તાની કરે તેવી સંભાવના છે. 24 વર્ષીય પંતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. પસંદગીકારોના સંપૂર્ણ વિશ્વાસને કારણે પંતને આ જવાબદારી મળી શકે છે.
BCCI એ ટ્વિટર પર લખ્યું, ‘શનિવારે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT) માં સુકાની રોહિત શર્મા (Rohit Sharma) નો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. હાલમાં તે ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે.
રોહિત શર્મા હજુ પણ 5મી ટેસ્ટ રમી શકે છે. પરંતુ તે ત્યારે જ રમી શકશે જ્યારે તેનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવશે. રોહિતનો RTPCR ટેસ્ટ પણ થવાનો છે, જેનો રિપોર્ટ થોડા કલાકોમાં આવશે. જો તે રિપોર્ટમાં પણ તે પોઝિટિવ જોવા મળે છે, તો તેની પાંચમી ટેસ્ટમાં ભાગ લેવાની શક્યતાઓ નહીંવત છે.
ભારતે ગયા વર્ષે ઈંગ્લેન્ડ સામે તેની ધરતી પર 4 ટેસ્ટ મેચ રમી હતી. જ્યાં રોહિતે સારી બેટિંગ કરી હતી. રોહિતે તે ચાર ટેસ્ટ મેચોમાં 52.27ની એવરેજથી 368 રન બનાવ્યા હતા. જેમાં ઓવલ ખાતેની સદીનો સમાવેશ થાય છે. તે શ્રેણીની પાંચમી મેચ હવે રમાશે. ટેસ્ટ મેચ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારત 2-1થી આગળ છે. જો ભારત એજબેસ્ટન ટેસ્ટ ઓછામાં ઓછી ડ્રો કરે છે. તો તે શ્રેણી પર કબજો કરી લેશે.