એજબેસ્ટન ખાતે રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ (Test Match) સંબંધિત એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ ટેસ્ટ મેચ 01 જુલાઈથી બંને ટીમો વચ્ચે રમાવાની છે અને હવે અહેવાલો પ્રમાણે ઈંગ્લેન્ડ અને વેલ્શ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ મેચનો સમય બદલ્યો છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય પ્રશંસકોને ધ્યાનમાં રાખીને મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ સ્થાનિક સમય અનુસાર સવારે 11 વાગ્યે શરૂ થાય છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે એજબેસ્ટનમાં રમાનારી ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચેની મેચ અડધો કલાક પહેલા શરૂ થશે. ભારતીય સમયની વાત કરીએ તો મેચનો પહેલો બોલ બપોરે 3 વાગ્યે નાખવામાં આવશે અને દિવસની રમત રાત્રે 10 વાગ્યે સમાપ્ત થશે. આ દરમિયાન 90 ઓવરની રમત પૂરી કરવા માટે અડધો કલાકનો સમય અનામત રાખવામાં આવ્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થાય છે. પરંતુ ઇંગ્લેન્ડમાં તે સવારે 11 વાગ્યે શરૂ થાય છે. જેથી જે ટીમો પ્રથમ બોલિંગ કરે છે તેમને ઝાકળનો લાભ નહીં મળે.
મેચની શરૂઆત પહેલા જ ભારત (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના સુકાની રોહિત શર્મા (Rohit Sharma) કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને હાલ તેને આઈસોલેશનમાં મોકલી દેવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ રવિવારે સવારે આ જાણકારી આપી છે. ભારતીય ક્રિકેટ ટીમ અને લેસ્ટરશાયર વચ્ચે રમાઈ રહેલી વોર્મ-અપ મેચની બીજી ઈનિંગમાં રોહિત શર્મા બેટિંગ કરવા આવ્યો ન હતો. કેટલીક સમય બાદ તેનો RT PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં તે પોઝિટિવ આવ્યો હતો.
હવે રોહિત શર્મા માટે પ્રથમ ટેસ્ટમાં રમવું મુશ્કેલ થઈ રહ્યું છે. જો રોહિત મેચમાંથી બહાર થઈ જશે તો ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી જશે કારણ કે કેએલ રાહુલ (KL Rahul) ઈજાના કારણે આ મેચમાંથી પહેલા જ બહાર થઈ ગયો છે. જોકે બીજી તરફ જો રોહિત શર્મા મેદાન પર નહીં ઉતરે તો તેના સ્થાને રિષભ પંત અથવા જસપ્રીત બુમરાહનું નામ સુકાની તરીકે ચાલી રહ્યું છે.