હેમિલ્ટનમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની બીજી વનડે વરસાદના કારણે રદ્દ થઈ છે. મેચન શરુ થતાં બે વાર વરસાદ પડ્યો, ત્યારબાદ અમ્પાયરોએ મેચને રદ કરવાનો નિર્ણય કર્યો. મેચ તો ન થઈ શકી પરંતુ આ મેચ માટે ટીમ ઈન્ડિયા દ્વારા પસંદ કરાયેલ પ્લેઈંગ ઈલેવન ચોક્કસપણે ચર્ચાનું કારણ બની ગઈ. સોશિયલ મીડિયા પર, ટીમમાંથી સંજુ સેમસનની ગેરહાજરીથી ચાહકો ચોંકી ગયા અને ગુસ્સે થયા અને તેઓએ ટીમ મેનેજમેન્ટ પર આકરા પ્રહારો કર્યા.
ટીમના કેપ્ટન શિખર ધવને ટોસ સમયે જણાવ્યું કે, સંજુ સેમસનના સ્થાને દિપક હુડ્ડાને તક આપવામાં આવી છે. આ સિવાય શાર્દુલ ઠાકુરના સ્થાને દીપક ચહરને સ્થાન આપવામાં આવ્યું છે. સેમસનને બહાર કરવાના નિર્ણયથી ચાહકો નિરાશ થયા છે. મેચ રદ્દ થયા બાદ ધવને સેમસનને ન રમાડવાનું કારણ બતાવ્યું હતુ.
સંજુ સેમસને પ્રથમ વનડેમાં 38 બોલ 36 રન બનાવ્યા હતા. તે આઉટ થયો હતો. પરંતુ બીજી વનડેમાં તેને તક મળી ન હતી. ધવને જણાવ્યું કે, તેની પાછળનું કારણ શું છે. તેમણે કહ્યું અમે છઠ્ઠા બોલર સાથે આ મેચમાં ઉતરવા માંગતા હતા. આ જ કારણ છે કે સંજુની જગ્યાએ દીપક હુડ્ડાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ચહરને એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તે સ્વિંગ કરી શકે છે. દીપક હુડ્ડાને પ્રથમ વનડેમાં જગ્યા મળી ન હતી. તે સમયે પણ ટીમ ઈન્ડિયાની પસંદગી પર સવાલો ઉઠ્યા હતા. ચાહકો અને દિગ્ગજોનું માનવું હતુ કે, ટીમને 6ઠ્ઠા બોલર સાથે જવું જોઈએ માટે ટીમ હુડ્ડાને રમાડવા માંગતી હતી.
મેચ રદ્દ થવા પર ધવને કહ્યું, તે અમારા નિયંત્રણમાં નથી, તમારે માત્ર રાહ જોવી પડશે. અમે રમત શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, હવે ત્રીજી વન ડેની રાહ જોવાઈ રહી છે. હું આશ્ચર્યચકિત થઈ ગયો હતો. અમારા કેટલાક ખેલાડીઓ આરામ કરી રહ્યા છે, પરંતુ આ ટીમ હજુ પણ મજબૂત છે, જે અમારી ટીમની ઊંડાઈ દર્શાવે છે.