આવતા વર્ષે એશિયા કપનું આયોજન થવાનું છે અને આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ શાહે સ્પષ્ટ કર્યું હતું કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. આ પછી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ રમીઝ રાજાએ કહ્યું હતું કે જો આવું થશે તો પાકિસ્તાન આવતા વર્ષે ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પણ ભાગ નહીં લે. રાજાના આ નિવેદન બાદ તેમના જ દેશના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ તેમની આકરી ટીકા કરી છે. કનેરિયાએ તો ઝાટકણી કાઢવા રુપ વાત કરી છે.
T20 વર્લ્ડ કપનું આયોજન 2016માં ભારત દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે પણ પાકિસ્તાને ભારતમાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ભાગ લીધો હતો. વર્લ્ડ કપ એ આઈસીસી ઈવેન્ટ છે અને જો પાકિસ્તાન તેમાં ન રમવાનું નક્કી કરે છે તો આઈસીસી તેની સામે કડક વલણ અપનાવી શકે છે.
ભૂતપૂર્વ લેગ સ્પિનર કનેરિયાએ કહ્યું છે કે PCB પાસે ICCની કોઈપણ ઈવેન્ટનો બહિષ્કાર કરવાની હિંમત નથી. કનેરિયાએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “PCB પાસે ICC ઇવેન્ટનો બહિષ્કાર કરવાની હિંમત નથી. સાથે જ પાકિસ્તાન આવે કે ન આવે તેનાથી ભારતને કોઈ ફરક પડતો નથી. તેમની પાસે વિશાળ બજાર છે જે આવક પેદા કરી શકે છે. ભારત વર્લ્ડ કપ માટે પ્રવાસ નહીં કરે તેની પાકિસ્તાન પર વિપરીત અસર પડી શકે છે.
તે જ સમયે, કનેરિયાએ કહ્યું છે કે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન પણ સુરક્ષા કારણોસર પાકિસ્તાન આવવાની ના પાડી શકે છે. તેણે કહ્યું, “એશિયા કપમાં હજુ ઘણો સમય છે. અમે ખાતરીપૂર્વક કહી શકતા નથી કે ત્યાં સુધી દેશમાં બધું બરાબર થઈ જશે કે પછી આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનમાં રમાશે કે નહીં. આ સમય દરમિયાન શું સ્થિતિ હશે તે અમને ખબર નથી.
તેણે કહ્યું, “એવું પણ શક્ય છે કે ભારત સિવાય બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવી ટીમો પણ પાકિસ્તાન જવાની ના પાડી શકે. પાકિસ્તાનના લોકો ઈચ્છે છે કે એશિયા કપ તેમના દેશમાં રમાય. પરંતુ દેશની સ્થિતિને જોતા તમારે બેકફૂટ પર રહેવું પડશે.”
Published On - 9:32 am, Mon, 28 November 22