
ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝન માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની અપેક્ષા છે, જેને લઈને તમામ ચાહકો BCCI તરફથી સત્તાવાર શેડ્યૂલની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આઈપીએલની આગામી સીઝનમાં તમામ 10 ટીમના સ્ક્વોડમાં કેટલાક મોટા ફેરફારો પણ જોવા મળશે.
હવે આમાં ડિસેમ્બર 2025માં યોજાયેલા ઓક્શનમાં જ્યાં કેટલાક ખેલાડીઓની ફ્રેન્ચાઈઝી બદલાઈ છે, તો કેટલાક નવા ચહેરાઓને પણ તક મળી છે, જેમાં ઉત્તર પ્રદેશની ટીમ તરફથી સ્થાનિક ક્રિકેટમાં રમનારા ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર ખેલાડી ‘પ્રશાંત વીર’નું નામ પણ જોડાયેલ છે.
પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે ઓક્શનમાં 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જો કે, હવે પ્રશાંત વીરને લઈને CSKની ચિંતા વધી ગઈ છે. આની પાછળનું મુખ્ય કારણ તેનું ઈજાગ્રસ્ત થવું છે. ઉત્તર પ્રદેશની ટીમ રણજી ટ્રોફી 2025-26માં તેની છઠ્ઠી મેચ ઝારખંડની ટીમ સામે લખનૌના ઈકાના સ્ટેડિયમમાં રમી રહી છે.
આ મેચમાં પ્રથમ દિવસની રમત દરમિયાન જ્યારે પ્રશાંત વીર મિડ-ઓફ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો, ત્યારે ઝારખંડના ખેલાડી શિખર મોહને તેની તરફ એક શોટ રમ્યો હતો, જેને રોકવાના પ્રયાસમાં પ્રશાંત વીરે પોતાની જમણી બાજુ ડાઇવ લગાવી હતી. બસ આ ડાઇવને કારણે તે પોતાના જમણા ખભાને ઈજાગ્રસ્ત કરી બેઠો.
પ્રશાંત વીરને ઈજા થતાની સાથે જ ફિઝિયોએ મેદાન પર આવીને તેની સ્થિતિની તપાસ કરી હતી, જે બાદ તેને તરત જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો. એક અહેવાલ મુજબ, પ્રશાંત વીરને ગ્રેડ-2 શોલ્ડર ટીયર થયેલ છે, જેમાંથી તેને સ્વસ્થ થવામાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા જેટલો સમય લાગશે. આવી સ્થિતિમાં, પ્રશાંત વીર માટે IPL 2026ની શરૂઆતની મેચોમાં ભાગ લેવો થોડો મુશ્કેલ દેખાઈ રહ્યો છે.
IPL 2026 સીઝન માટે જ્યારે ઓક્શનમાં પ્રશાંત વીરનું નામ બોલાવવામાં આવ્યું, ત્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ઉપરાંત બીજી કેટલીક ફ્રેન્ચાઈઝીઓએ પણ તેનામાં રસ દાખવ્યો હતો. જો કે, અંતે CSK એ 14.20 કરોડ રૂપિયા ખર્ચ કરીને પ્રશાંત વીરને પોતાની ટીમનો ભાગ બનાવી લીધો હતો.
પ્રશાંતના T20 કરિયરની વાત કરવામાં આવે તો, તેણે 9 મેચોમાં 16.66 ની સરેરાશથી 12 વિકેટ ઝડપી છે. આ સાથે જ બેટિંગમાં 28 ની સરેરાશથી 112 રન પણ બનાવ્યા છે. આવી સ્થિતિમાં, તે CSK માટે સ્પિન ઓલરાઉન્ડરની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવવાની ક્ષમતા ધરાવે છે.