ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્રિકેટ ચાહકોનો ઉત્સાહ વધુ વધવાનો છે. નોકઆઉટ મેચો 4 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહી છે. ટુર્નામેન્ટની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો બંને ટીમો વચ્ચે રમાનારી સેમીફાઈનલ મેચ વરસાદને કારણે રદ્દ થાય છે, તો કઈ ટીમ ફાઈનલમાં પહોંચશે અને આ વખતે નોકઆઉટ મેચો માટે ICCએ કયા નિયમો બનાવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં વરસાદ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક અલગ જ સંબંધ રહ્યો છે. છેલ્લી બે આવૃત્તિઓમાં ઓસ્ટ્રેલિયાની 3 મેચ વરસાદમાં ધોવાઈ ગઈ હતી. આ વખતે પણ ઓસ્ટ્રેલિયાની એક મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી. આવી સ્થિતિમાં, ચાહકોના મનમાં ડર છે કે જો સેમીફાઈનલમાં પણ આવું જ કંઈક થાય છે, તો કઈ ટીમને નુકસાન થશે. તમને જણાવી દઈએ કે, આ વખતે ICC એ બંને સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ રમત નિર્ધારિત તારીખે પૂર્ણ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. જો આ શક્ય ન હોય, તો રિઝર્વ ડે પર મેચ જ્યાંથી રોકાઈ હતી ત્યાંથી શરૂ થશે.
એટલે કે જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ મેચ 4 માર્ચે પૂર્ણ ન થાય, તો 5 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય ડકવર્થ લુઈસના નિયમ મુજબ, પાછળથી બેટિંગ કરનારી ટીમે પરિણામ મેળવવા માટે ઓછામાં ઓછી 25 ઓવર રમવાની રહેશે. ગ્રુપ સ્ટેજમાં બીજા ક્રમે બેટિંગ કરતી ટીમે ફક્ત 20 ઓવર રમવાની હોય છે. પરંતુ જો રિઝર્વ ડે પર પણ મેચનું પરિણામ નક્કી ન થાય, તો ગ્રુપ સ્ટેજમાં ટોચ પર રહેનારી ટીમ ફાઈનલમાં પહોંચશે. તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં ટોચ પર હતી. આવી સ્થિતિમાં, જો મેચનું કોઈ પરિણામ ન આવે તો ભારત ફાઈનલ રમશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની બીજી સેમીફાઈનલ મેચ દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટીમો વચ્ચે રમાશે. આ બંને ટીમો લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ માટે 6 માર્ચનો દિવસ રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે. જો આ મેચ પણ પરિણામ ન આપે તો દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. કારણ કે દક્ષિણ આફ્રિકા ગ્રુપ B માં ટોચ પર હતું. જ્યારે ન્યુઝીલેન્ડ ગ્રુપ A માં બીજા સ્થાને રહ્યું હતું.
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયાના સભ્યની માતાનું અવસાન, ચેમ્પિયન્સ ટ્રોફી છોડીને ભારત પરત ફર્યો