
ભારતના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન રમાયેલી ત્રણ મેચની ODI શ્રેણી પૂર્ણ થઈ ગઈ છે. જોકે, આ શ્રેણી ટીમ ઈન્ડિયા માટે અપેક્ષાઓ પર ખરી ઉતરી ન હતી, અને શ્રેણી 1-2 થી હારી ગઈ હતી. જોકે, ભારતીય ચાહકો માટે સૌથી સારી વાત એ હતી કે શ્રેણીની અંતિમ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સારા ફોર્મમાં હતા. આ શ્રેણી પૂર્ણ થયા પછી ક્રિકેટ ચાહકો પાસે એક જ પ્રશ્ન છે: રોહિત શર્મા અને વિરાટ કોહલી ફરી ક્યારે ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળશે?
ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજો રોહિત શર્મા અને વિરાટ કોહલી હવે ટીમ ઈન્ડિયા માટે ફક્ત ODI ફોર્મેટમાં રમે છે, કારણ કે બંને T20 આંતરરાષ્ટ્રીય અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. તેથી, ચાહકો પાસે તેમને ભારતીય જર્સીમાં જોવા માટે ફક્ત એક દિવસીય મેચ જ છે. જોકે, ઈંગ્લેન્ડ સામેની શ્રેણી સમાપ્ત થયા પછી હવે ક્રિકેટ ચાહકોએ બંને દિગ્ગજોને મેદાનમાં ફરી રમતા જોવા લાંબા સમય સુધી રાહ જોવી પડશે.
ભારતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં તેની આગામી ODI શ્રેણી રમશે, એટલે કે ચાહકોએ બંને દિગ્ગજોને સાથે રમતા જોવા માટે લગભગ બે મહિના રાહ જોવી પડશે. ઈંગ્લેન્ડ શ્રેણી પછી ભારતની આગામી ODI શ્રેણી ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે રમાશે. આ શ્રેણી 27 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 3 ઓક્ટોબર સુધી ચાલશે, જેમાં કુલ ત્રણ ODI મેચ રમાશે.
વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પછી ભારતીય ટીમ નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે. ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે પાંચ મેચની વનડે શ્રેણી રમશે. ICC વર્લ્ડ કપ 2027 પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી માટે આ શ્રેણી મહત્વપૂર્ણ રહેશે. ત્યાર પછી વર્ષના અંતિમ મહિનામાં એટલે કે ડિસેમ્બરમાં ભારત ફરી એકવાર શ્રીલંકા સામે ઘરઆંગણે સીરિઝની યજમાની કરશે. જેમાં બંને ટીમો વચ્ચે 3 મેચની ODI શ્રેણી રમાશે.