
વૈભવ સૂર્યવંશી તેના છગ્ગા, ચોગ્ગા અને તોફાની ઇનિંગને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં તે એક ઝઘડાને કારણે સમાચારમાં છે. ઈન્ડિયા A ની હાર બાદ વૈભવ સૂર્યવંશીનો શ્રીલંકા A ખેલાડી સાથે ઝઘડો થયો હતો. મેચ જીત્યા પછી, શ્રીલંકા A ના ખેલાડીઓએ આક્રમક રીતે ઉજવણી કરી અને વૈભવ સૂર્યવંશી સામે બૂમો પાડતા જોવા મળ્યા. આ બધું જોઈને વૈભવ સૂર્યવંશી ગુસ્સે થઈ ગયો અને શ્રીલંકાના એક ખેલાડીને ધક્કો માર્યો. જવાબમાં આ ખેલાડીએ પણ સૂર્યવંશીને ધક્કો માર્યો. તરત જ અન્ય ખેલાડીઓએ બંનેને અલગ કર્યા, પરંતુ હવે સૂર્યવંશીની મુશ્કેલીઓ વધી શકે છે.
વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો હતો, જે ICC નિયમ હેઠળ મોટો ગુનો છે. આમ કરવાથી દોષિત ખેલાડીને દંડ અને પ્રતિબંધ પણ લાગી શકે છે. આ ગુના માટે સજાના ચાર સ્તર છે.
શ્રીલંકા A સામેની મેચમાં ફક્ત વૈભવ સૂર્યવંશી જ આક્રમક જોવા મળ્યો ન હતો, પરંતુ કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. મેચ ટાઈ થયા પછી તિલક અમ્પાયર સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. મેચનો સમય પૂરો થઈ ગયો હોવાથી અમ્પાયરો સુપર ઓવર ઇચ્છતા ન હતા, પરંતુ તિલક ગમે તે ભોગે તે ઇચ્છતો હતો. સુપર ઓવરના છેલ્લા બોલ પર જ્યારે અમ્પાયરોએ અરશદ ખાનના છેલ્લા બોલને નો-બોલ ન ગણાવ્યો ત્યારે વિવાદ ફાટી નીકળ્યો અને ભારતીય ખેલાડીઓ ડગઆઉટમાં ગયા. ત્યારબાદ અમ્પાયરોએ પોતાનો નિર્ણય ઉલટાવી દીધો અને તેને નો-બોલ જાહેર કર્યો. ત્યારબાદ તિલક વર્મા ફરીથી અમ્પાયરો સાથે બોલાચાલી કરી. તિલકના આ વલણથી તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
ત્રિકોણીય શ્રેણીમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અફઘાનિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ભારત A ટીમ શ્રીલંકા A ટીમ સામે પણ મેચ હારી ગયું. ટીમ ત્રણમાંથી બે મેચ હારી ગઈ છે, અને હવે જો તેઓ ફાઇનલમાં પહોંચવા માંગે છે, તો તેમણે અફઘાનિસ્તાન સામેની અંતિમ મેચ જીતવી પડશે. આ મેચ 17 જૂને દામ્બુલામાં રમાશે.