
IPL 2026ની ફાઈનલમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર જામવાની છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચ પહેલા RCBનું પલડું ભારે માનવામાં આવી રહ્યું છે. તેનું મુખ્ય કારણ ટીમના આઠ મેચ વિનર ખેલાડીઓ છે, જેમણે સમગ્ર સિઝનમાં વિવિધ પ્રસંગોએ ટીમને યાદગાર જીત અપાવી છે. હવે આ 8 મેચ વિનર GT ની ટ્રોફી જીતવાની આશા પર પાણી ફેરવી શકે છે. ચાલો જાણીએ કોણ છે આ આઠ ખેલાડીઓ.
આ સિઝનમાં RCBએ પોતાની સફળતાનો આધાર માત્ર એક કે બે સ્ટાર ખેલાડીઓ પર રાખ્યો નથી. ટીમે અત્યાર સુધીમાં 10 જીત મેળવી છે અને આ જીતમાં આઠ અલગ-અલગ ખેલાડીઓએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે. અને આ આઠ મેચ વિનર ખેલાડીઓ ફાઈનલમાં ગુજરાત માટે ખતરો બની શકે છે.
RCB ની આખી ટીમમાં અને પ્લેઇંગ ઈલેવનમાં સામલે ખેલાડીઓમાં આઠ ખેલાડીઓ ટીમના હુકમના એક્કા સાબિત થયા છે. આ આઠ મેચ વિનર ખેલાડીઓ છે- વિરાટ કોહલી, રજત પાટીદાર, ફિલ સોલ્ટ, વેંકટેશ અય્યર, ટિમ ડેવિડ, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને જેકબ ડફી.
વિરાટ કોહલી, રજત પાટીદાર અને ફિલ સોલ્ટ જેવા બેટ્સમેનોએ મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે, તો બીજી તરફ વેંકટેશ અય્યર અને ટિમ ડેવિડે પણ નિર્ણાયક ક્ષણોમાં ટીમને જીત અપાવી છે. મધ્યક્રમ અને ફિનિશિંગ વિભાગમાં RCBની તાકાત ગુજરાત માટે ચિંતાનો વિષય બની શકે છે.
બોલિંગ વિભાગમાં ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને જેકબ ડફી જેવા અનુભવી ખેલાડીઓએ વિરોધી બેટિંગ લાઇનઅપને વારંવાર મુશ્કેલીમાં મૂકી છે. આ બોલરો મેચનું પરિણામ બદલવાની ક્ષમતા ધરાવે છે અને ફાઈનલમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
ગુજરાત ટાઈટન્સ માટે સૌથી મોટો પડકાર એ છે કે તેઓ માત્ર એક કે બે ખેલાડીઓને રોકીને મેચ જીતી શકશે નહીં. જો કોહલી અથવા પાટીદાર વહેલા આઉટ થઈ જાય તો પણ RCB પાસે અન્ય અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ટીમના આઠ-આઠ ખેલાડીઓ મેચ જીતાડવાની ક્ષમતા ધરાવે છે.
શુભમન ગિલની આગેવાની હેઠળ ગુજરાત ટાઈટન્સ ઈતિહાસ રચવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, પરંતુ RCBની ઊંડી અને સંતુલિત ટીમ તેમને જોરદાર ટક્કર આપશે. ફાઈનલમાં કઈ ટીમ ટ્રોફી જીતશે તે તો સમય જ જણાવશે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે ક્રિકેટપ્રેમીઓને ટક્કરનો મુકાબલો જોવા મળશે.
Published On - 4:43 pm, Sun, 31 May 26