
IPL 2026 ના મધ્યમાં BCCI એ બધી ટીમો માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જે ખેલાડીઓ, ટીમ અધિકારીઓ અને ફ્રેન્ચાઈઝ માલિકોને લાગુ પડશે. પંજાબ કિંગ્સ ટીમ હવે ખેલાડીઓ સાથે આ ગાઈડલાઈન પર ચર્ચા કરી રહી છે. આ બેઠકમાં ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ અને વ્લોગનો મુદ્દો પણ સામેલ હશે.
પંજાબ કિંગ્સનો સ્ટાર ફાસ્ટ બોલર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યાં તે વ્લોગ્સ અને રીલ્સ પોસ્ટ કરે છે, જે ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ પ્રવૃત્તિઓ BCCIના ધ્યાન પર આવ્યા પછી, ફ્રેન્ચાઈઝી હવે આવા વ્લોગ્સ અને રીલ્સ ફક્ત સત્તાવાર ચેનલો દ્વારા જ શેર કરી શકશે. એવામાં આ મીટિંગમાં અર્શદીપ સિંહને પર્સનલ વ્લોગિંગ માટે નાં પાડવામાં આવી શકે છે.
અહેવાલો અનુસાર, PBKS એ હજુ સુધી ઔપચારિક રીતે અર્શદીપને વ્લોગિંગ બંધ કરવા કહ્યું નથી. ફ્રેન્ચાઈઝ શનિવારે સાંજે ધર્મશાળા સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પછી ખેલાડીઓની મેટિંગ બોલાવશે. નવી ગાઈડલાઈનનું પાલન સુનિશ્ચિત કરવા માટે તમામ ખેલાડીઓ પાસેથી લેખિત સંમતિ માંગવામાં આવશે. એક અહેવાલ મુજબ, ફ્રેન્ચાઈઝના સહ-માલિક મીટિંગને સંબોધિત કરવાના હતા, પરંતુ હવે ફ્રેન્ચાઈઝના CEO સતીશ મેનન ખેલાડીઓને માહિતી આપશે.
તમને જણાવી દઈએ કે, દરેક ટીમે 48 કલાકની અંદર ખેલાડીઓ સાથે બેઠક યોજીને તેમને આ નિયમો વિશે જાણ કરવાની રહેશે અને બાદમાં BCCI ને લેખિતમાં પુષ્ટિ કરવાની રહેશે, જેના કારણે પંજાબ કિંગ્સે આ નિર્ણય લીધો છે.
નવા નિયમો અનુસાર, ટીમ મેનેજરની પૂર્વ જાણકારી અને લેખિત પરવાનગી વિના કોઈ પણ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફના હોટલ રૂમમાં પ્રવેશ કરી શકશે નહીં. લેખિત પરવાનગી વિના કોઈ પણ મહેમાનને ખાનગી હોટલના રૂમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં, ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ માલિકો અને અધિકારીઓએ હોટલ અને સ્ટેડિયમમાં હંમેશા તેમના માન્ય કાર્ડ પહેરવા પડશે.
ટીમ માલિકો અને અધિકારીઓને મેચ દરમિયાન ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને મળવા, બોલવા અથવા સૂચનાઓ આપવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમામ ફ્રેન્ચાઈઝીઓને ટાર્ગેટેડ કોમ્પ્રોમાઈઝ અને હની ટ્રેપિંગના જોખમ વિશે પણ ચેતવણી આપવામાં આવી છે.
Published On - 8:22 pm, Sat, 9 May 26