
IPL 2026માં પંજાબ કિંગ્સ માટે રમતો અર્શદીપ સિંહ સતત સમાચારમાં છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સમરીન કૌર સાથે ગુરુદ્વારામાં દર્શન કરતો જોવા મળે છે. આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર તેની લવ લાઈફને લઈને ચર્ચાઓ તેજ બની ગઈ છે.
અર્શદીપ અને સમરીન વચ્ચેના સંબંધોની અફવાઓ પહેલા પણ ઉઠી હતી, જ્યારે બંનેને એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. જોકે તે સમયે બંનેમાંથી કોઈએ આ અંગે સ્પષ્ટતા કરી નહોતી. હવે ગુરુદ્વારાની મુલાકાતના ફોટા અને વીડિયો સામે આવ્યા બાદ બંનેના સંબંધની ચર્ચા ફરી શરુ થઈ છે.
ખાસ વાત એ છે કે અર્શદીપે પોતાના સોશિયલ મીડિયા પર ફતેહગઢ સાહિબ ગુરુદ્વારાનો ફોટો શેર કર્યો હતો. બીજી તરફ, સમરીન કૌરે પણ એ જ સ્થળનો ફોટો પોસ્ટ કર્યો હતો. બંનેના ફોટા એકસરખા હોવાથી ચાહકોને ખાતરી થઈ ગઈ કે બંનેએ સાથે મુલાકાત લીધી હતી.
સોશિયલ મીડિયા પર બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે હવે તેઓ પોતાના સંબંધને છુપાવવા માંગતા નથી. કેટલાક યુઝર્સે તો આને તેમની ઓફિશિયલ કન્ફર્મેશન તરીકે પણ જોવાનું શરૂ કર્યું છે.
ક્રિકેટની વાત કરીએ તો અર્શદીપ સિંહનું IPL 2026માં પ્રદર્શન અત્યાર સુધી ખાસ રહ્યું નથી. તેણે ચાર મેચમાં ફક્ત બે વિકેટ જ લીધી છે. જોકે ટીમ તરીકે પંજાબ કિંગ્સનું પ્રદર્શન મજબૂત રહ્યું છે અને ટીમ હજી સુધી અજેય છે.
અર્શદીપના આંતરરાષ્ટ્રીય કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે 15 વનડે અને 84 T20 મેચ રમી છે. જેમાં તેણે અનુક્રમે 25 અને 127 વિકેટ લીધી છે. IPLમાં તેણે 99 વિકેટ લીધી છે અને તે 100 વિકેટના આંકડાથી ફક્ત એક પગલું દૂર છે.