જસપ્રીત બુમરાહની ફિટનેસને લઈને મોટા સમાચાર, જાણો બીજી T20 રમશે કે નહીં ?
ઈજામાંથી પરત ફરી રહેલા જસપ્રીત બુમરાહને મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.
એશિયા કપની બે મહત્વની મેચો અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા (Australia) સામેની પ્રથમ T20 મેચમાં ટીમ ઈન્ડિયાની (Team India) છેલ્લી ઓવરોની બોલિંગે બધાને નિરાશ કર્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમ આ મેચ હારી ગઈ હતી અને આ ડેથ ઓવરોમાં ખરાબ બોલિંગે સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આવી સ્થિતિમાં દરેક લોકો એક જ સવાલ પૂછી રહ્યા છે કે જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ક્યારે ફિટ થશે ? ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં પણ તેને રમાડવામાં આવ્યો ન હતો. તેથી ક્રિકેટપ્રેમીઓમાં બેચેની વધી છે કે શું જસપ્રીત બુમરાહ બીજી મેચમાં રમશે? ટીમ ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે જસપ્રીત બુમરાહ ફિટ છે અને સ્પર્ધા માટે તૈયાર છે.
આ સ્ટાર ભારતીય ઝડપી બોલરને જુલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન પીઠમાં ઈજા થઈ હતી, જેના કારણે તે એશિયા કપમાં પણ રમી શક્યો ન હતો. તે પીઠની ઈજામાંથી સાજો થઈ રહ્યો હતો અને વર્તમાન શ્રેણી સિવાય તેને T20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે મોહાલીમાં પ્રથમ T20 મેચમાં તેને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, ત્યારે તેની ફિટનેસને લઈને ફરી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
બુમરાહ ફિટ છે, રમવા માટે તૈયાર છે
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું કહેવું છે કે, હવે લાગે છે કે બધું સારું થઈ ગયુ છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શુક્રવાર, 23 સપ્ટેમ્બરના રોજ નાગપુરમાં ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20 મેચ પહેલા, સૂર્યાએ બુમરાહની ફિટનેસને લઈને ઉઠતી ચિંતાઓને નકારી કાઢી હતી. વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ કહ્યું કે, “મને કોઈ ખેલાડી વિશે ટીમની યોજના અંગે કોઈ ખ્યાલ નથી. આ મારો વિભાગ નથી. ફિઝિયો અને ટીમ મેનેજમેન્ટ આ પ્રશ્નનો જવાબ આપી શકે છે. જોકે ટીમમાં વાતાવરણ સારું છે અને તમામ ખેલાડીઓ બીજી મેચ માટે ફિટ અને તૈયાર છે. તે (બુમરાહ) સંપૂર્ણપણે તૈયાર છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
બુમરાહ ટીમમાં ના હોવાની ખામી મેચમાં દેખાઈ
બુમરાહે ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝમાં માત્ર એક જ મેચ રમી હતી, જે આ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા માટે આ વર્ષે તેની માત્ર ત્રીજી મેચ છે. આવી સ્થિતિમાં બુમરાહને વર્લ્ડ કપ પહેલા મહત્તમ મેચ પ્રેક્ટિસની જરૂર છે. એટલું જ નહીં, ટીમ ઈન્ડિયાને બુમરાહની સખત જરૂર છે કારણ કે તેની ગેરહાજરીમાં બોલિંગ ખૂબ જ નબળી દેખાઈ રહી છે. આ અંગે સૂર્યાએ કહ્યું, “ખરેખર છેલ્લી મેચ પછી અમે ચર્ચા કરી ન હતી પરંતુ મેદાનમાં ઝાકળ પડી હતી. તમારે ઓસ્ટ્રેલિયાને શ્રેય આપવો પડશે, તેઓ આક્રમક ક્રિકેટ રમ્યા હતા.
208 રન બનાવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયાને પ્રથમ T20 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે ભારતીય બોલરો આ લક્ષ્યનો બચાવ કરી શક્યા ન હતા. આવી સ્થિતિમાં હવે નાગપુરમાં ભારતીય ટીમ આ હારનો હિસાબ ચૂકવીને જીતના માર્ગે પરત ફરવા માંગે છે અને જો બુમરાહ આમાં પોતાની ભૂમિકા નિભાવશે તો ભારતીય ટીમની સાથે તેના પ્રશંસકોને પણ એક ફાયદો થશે.