ઘરેલુ ક્રિકેટરો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. કોરોના કાળમાં ઘરેલુ ક્રિકેટરોની સ્થિતી બેહાલ હતી. આ દરમ્યાન હવે BCCI સારા સમાચાર લઇ આવી રહ્યુ છે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને સેક્રેટરી જય શાહ (Jay Shah) એ લાંબી વિચારણા બાદ હવે ઘરેલુ ખેલાડીઓની મેચ ફી (Match Fee) વધારવામાં આવશે.
કોરોના કાળને લઇને 2020 નું વર્ષ ઘરેલુ ખેલાડીઓ માટે ખરાબ રહ્યુ હતું. આગાઉ BCCI અધ્યક્ષે ખેલાડીઓને વળતર ચુકવવા માટેની ઘોષણા કરી હતી. જેથી કોરોના કાળ દરમ્યાન ખેલાડીઓને રાહત સર્જાઇ રહે. પરંતુ હવે બીસીસીઆઇ ખેલાડીઓના પ્રોત્સાહનને વધારવા જઇ રહ્યુ છે. જે મુજબ હવે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મેચ ફી વધારવા માટે જઇ રહ્યુ છે.
બીસીસીઆઇ અધ્યક્ષ, સેક્રેટરી, ઉપાધ્યક્ષ અને કોષાધ્યક્ષ સહિતની ઉચ્ચ પદાધીકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં ખેલાડીઓની મેચ ફી વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. સાથે જ પાછળની ઘરેલુ સિઝન ગુમાવવાને લઇને વળતર ચુકવણી કરવામાં આવશે. જે માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી હોવાનુ બોર્ડ અધિકારીએ કહ્યુ હતું. જેની પર સમિતિ નિર્ણય કરશે અને ત્યારબાદ વળતર ચુકવણી કરવામા આવશે.
મેચ ફીની ચુકવણી અંગેની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ પ્રથમ વાર ખેલાડીઓને રમેલ મેચ સંખ્યાના આધારે મેચ ફી ચુકવવામાં આવશે. મીડિયા રિપોર્ટનુસાર, અધિકારીએ કહ્યુ હતુ કે, જે ખેલાડીએ 20 કે તેથી વધુ મેચ રમી હશે, તેઓને હવે 60 હજાર રુપિયા પ્રતિ દિવસના મળશે. હાલમાં આ રકમ 35 હજાર રુપિયા છે. જ્યારે 20 કે તેથી ઓછી મેચ રમનાર ખેલાડીને 45 હજાર રુપિયા મેચ પ્રતિ દિવસના ધોરણે મળશે.
અધિકારીએ આગળ કહ્યુ હતુ કે, ઘરેલુ ક્રિકેટરોને ખૂબ ફાયદો થશે. ઝડપથી ફી વધારાના પ્રસ્તાવ પર મહોર લાગશે. હાલમાં જોવામાં આવે તો ખેલાડીઓને પ્રતિ મેચ દીઠ 35 હજાર રુપિયાની રકમ ચુકવવામાં આવે છે. તેમણે કહ્યુ કે, આગળની સિઝનની ટૂર્નામેન્ટ શરુ થવા પહેલા કોઇ ખેલાડી એ 18 મેચ રમી હશે અને તે ખેલાડી ટૂર્નામેન્ટ દરમ્યાન 20 મેચ પુરી કરી લેશે તો, તે ખેલાડીને 60 હજાર રુપિયા પ્રતિ દિવસ મેચ ફી મળવા પાત્ર બની જશે.