ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવાનો નિર્ણય હવે કોના હાથમાં હશે એ હવે થોડા જ દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. આ દિશામાં હવે ભારતીય ક્રિકેટ બોર્ડ ઝડપી ગતિએ એક બાદ એક પગલા ઉઠાવી રહ્યુ છે. એટલે હવે ભારતીય ટીમની પસંદગી સમિતિ ઝડપથી જાહેર થઈ શકે છે. બીસીસીઆઈએ નવા પસંદગીકારો માટેની અરજીઓ મંગાવી હતી અને જેના બાદ હવે આ માટેના ઈન્ટરવ્યૂનુ આયોજન થઈ રહ્યુ છે. એટલે કે હવે અરજીકર્તાઓ પસંદગી સમિતિમાં સ્થાન પામવા માટેની પ્રક્રિયાના હિસ્સામાંથી પસાર થશે. જોકે આ 5 નામ પસંદ કરવા માટે બોર્ડ દ્વારા એવા બે નામ પસંદ કરવામાં આવ્યા છે કે જે ભૂતપૂર્વ પસંદગીકારો છે.
બોર્ડ દ્વારા 1 ડિસેમ્બરે ક્રિકેટ સલાહકાર સમિતિની રચના કરી છે. જેમાં આ બંને પૂર્વ પસંદગીકારોનો પણ સમાવેશ બીસીસીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે. આ સમિતિમાં અશોક મલ્હોત્રા અને જતીન પરાંજપેનો સમાવેશ થાય છે.
બીસીસીઆઈના બંધારણ હેઠળ પસંદગી સમિતિ અથવા ભારતીય ટીમોના કોચની પસંદગી માટે ક્રિકેટ સલાહકાર સમિતિની નિમણૂક જરૂરી છે. આ સમિતિ તમામ અરજદારોની યોગ્યતા તપાસે છે અને તેમનો ઇન્ટરવ્યુ લે છે. જે પછી બોર્ડ સમક્ષ સંભવિત ઉમેદવારોના નામની ભલામણ કરે છે, જેમની અંતિમ મહોરથી જ નિમણૂક થઈ શકે છે. 18 નવેમ્બરના રોજ, BCCIએ વર્તમાન પસંદગી સમિતિને ભંગ કરી દીધી હતી અને નવી સમિતિ માટે અરજીઓ આમંત્રિત કરી હતી.
સલાહકાર સમિતિની રચના થવા પર જ સૌની નજર અટકેલી હતી. કારણ કે અરજીઓ મંગાવ્યા બાદ સલાહકાર સમિતિના કાર્યની પ્રક્રિયા શરુ થવાની હોય છે. આ માટે બોર્ડે 1 ડિસેમ્બરે જ આ કામ પુરુ કરી લીધુ હતુ. પહેલાથી જ સલાહકાર સમિતિના બે સભ્યો પોતાના અંગતકારણોસર હટી ગયા હતા. જે સ્થાનો પર અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની નિમણૂંક કરવામાં આવી હતી. 3 સભ્યોની સમિતિમાં સુલક્ષણા નાયક હિસ્સો હતા અને નવા બંને નામ પસંદ કરવામાં આવ્યા છે. આમ ખાલી બંને સ્થાન ભરાઈ જતા ત્રણેય સભ્યોની સમિતિ નવા પસંદગીકારોને પસંદ કરવાનુ કાર્ય શરુ કરશે. તેમની સામે 60 જેટલી અરજીઓ છે, જેમાંથી 5 નામ પસંદ કરવીને બોર્ડ સમક્ષ રજૂ કરવાના છે.
સલાહકાર સમિતિના બંને સ્થાનો પર નિમણૂંકને લઈ ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરવામાં આવી હતી. જેમાં જણાવ્યુ હતુ કે, અશોક મલ્હોત્રા અને જતિન પરાંજપેની નિમણૂંક કરવામાં આવી છે. મલ્હોત્રાએ ભારતીય ટીમ વતી 20 વન ડે અને 7 ટેસ્ટ મેચમાં પ્રતિનિધિત્વ કર્યુ છે. તેઓ ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે. જ્યારે જતિન પરાંજપેએ ભારતીય ટીમ વતીથી 4 વન ડે મેચ રમી છે અને તેઓ સિનિયર પુરુષોની પસંદગી સમિતિનો હિસ્સો પણ હતા.
🚨NEWS: BCCI announces appointment of CAC members.
More Details 👇https://t.co/SqOWXMqTsj
— BCCI (@BCCI) December 1, 2022
ચેતન શર્મા અને પસંદગી સમિતિના તેમના સાથી સભ્ય હરવિંદર સિંહે ફરીથી આ પદ માટે અરજી કરી છે. નયન મોંગિયા, વેંકટેશ પ્રસાદ, મનિન્દર સિંહ, શિવ સુંદર દાસ, સુબ્રતો બેનર્જી, સલિલ અંકોલા, અમય ખુરસિયા, રિતિન્દર સિંહ સોઢી, નિખિલ ચોપરા અને અતુલ વાસન પણ પસંદગી સમિતિના સભ્ય માટે અરજી કરનારાઓની યાદીમાં સામેલ છે.
Published On - 9:05 am, Fri, 2 December 22