
એશિયા કપ 2025 ફક્ત તેની મેચો જ નહીં, પરંતુ તેના વિવાદો માટે પણ સમાચારમાં રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ગ્રુપ સ્ટેજ મેચ દરમિયાન ભારે હોબાળો મચી ગયો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ટીમ સાથે હાથ મિલાવવાનો ઈનકાર કર્યો. આની અસર પાકિસ્તાન-યુએઈ મેચ પર પણ પડી, જે એક કલાક મોડી શરૂ થઈ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પર પણ ટૂર્નામેન્ટ દરમિયાન પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાના ગંભીર આરોપો લાગી રહ્યા છે. આ બધા વચ્ચે, એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ એક મોટો નિર્ણય લીધો છે.
એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઈ-વોલ્ટેજ મેચને લગતા તણાવને ઘટાડવા માટે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) એ એક મોટું પગલું ભર્યું છે. ACCએ પત્રકારોને પ્રેસ કોન્ફરન્સમાં રાજકીય પ્રશ્નો પૂછવા પર પ્રતિબંધ મૂકતા નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના વાતાવરણને શાંત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા રવિવારે હાથ મિલાવવાના વિવાદ બાદ, ભારતીય પત્રકારોએ પ્રેસ કોન્ફરન્સમાં આકરા પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ પરિસ્થિતિએ ACCના મીડિયા વિભાગને અસમંજસ સ્થિતિમાં મૂકી દીધો હતો.
ઓમાન સામેની મેચ પહેલા ભારતીય સ્પિનર કુલદીપ યાદવની પ્રેસ કોન્ફરન્સ પહેલા ACC મીડિયા અધિકારીએ ભારતીય પત્રકારોને સ્પષ્ટપણે કહ્યું કે તેઓ કોઈપણ રાજકીય પ્રશ્નો ટાળે. ACCનો મીડિયા વિભાગ પહેલાથી જ આ વિવાદને કેવી રીતે ઉકેલવો તેની તપાસ કરી રહ્યો છે. UAEના કેપ્ટન મોહમ્મદ વસીમને આ અઠવાડિયાની શરૂઆતમાં એક મેચમાં પાકિસ્તાનના મોડા આગમન અંગે વારંવાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.
આ દરમિયાન, ICC ના એક વરિષ્ઠ સભ્યએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના વલણ પર સવાલ ઉઠાવ્યા. તેમણે પૂછ્યું કે પાકિસ્તાની ટીમ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો પણ પ્રેસ કોન્ફરન્સમાં નહીં આવી. આ પ્રેસ કોન્ફરન્સ પાકિસ્તાન અને UAE વચ્ચેની મેચ પહેલા યોજાવાની હતી. જોકે, પાકિસ્તાન ટીમમાંથી કોઈ પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યું ન હતું.
આ પણ વાંચો: Asia Cup 2025 : એક સેકન્ડની ભૂલ અને ટીમ ઈન્ડિયા મેચ હારી શકે છે, દુબઈમાં સૌથી મોટો પડકાર