
ભારતીય ટીમને એશિયા કપ 2025 જીત્યાને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલનો ચેરમેન મોહસીન નકવીએ હજુ સુધી ભારતને ટુર્નામેન્ટ ટ્રોફી સોંપી નથી. તાજેતરમાં, BCCI એ ACC ને પત્ર લખીને ટ્રોફી મુંબઈ મોકલવાની વિનંતી કરી હતી, પરંતુ નકવીએ ટ્રોફી પરત ના કરી.
નકવી વ્યક્તિગત રીતે BCCI ના પ્રતિનિધિ અને ભારતીય ટીમના સભ્યને ટ્રોફી સોંપવા માંગે છે. આ સમગ્ર મામલાએ બંને બોર્ડ વચ્ચે તણાવ વધાર્યો છે, અને ICC મીટિંગમાં આ મુદ્દો ચર્ચાનો મુખ્ય વિષય બનશે. જોકે, મોહસીન નકવી મીટિંગમાં હાજર નહીં રહે તેવી શક્યતા છે.
હકીકતમાં, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો અધ્યક્ષ મોહસીન નકવી દુબઈમાં ચાર દિવસીય ICC એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં હાજરી નહીં આપી તેવી શક્યતા છે. આ ગેરહાજરી માટે સ્થાનિક રાજકીય મુદ્દાઓને કારણ તરીકે દર્શાવવામાં આવી રહ્યા છે. BCCI આ બેઠકમાં એશિયા કપ ટ્રોફી ભારતને સોંપવામાં થયેલ વિલંબનો મુદ્દો ઉઠાવે તેવી પૂરી શક્યતા છે, જેનાથી નકવી પર દબાણ વધી શકે છે. એવું લાગે છે કે નકવી BCCI થી ડરી ગયો છે.
PCBના એક સૂત્રએ જણાવ્યું હતું કે બોર્ડના ચીફ ઓપરેટિંગ ઓફિસર સુમેર સૈયદ નકવીના સ્થાને CEOની બેઠકમાં હાજરી આપશે. જો નકવી દુબઈ જઈ ન શકે, તો સૈયદ 7 નવેમ્બરના રોજ યોજાનારી મહત્વપૂર્ણ બોર્ડ બેઠકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી શકે છે. જોકે, એવી પણ શક્યતા છે કે નકવી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી શકે છે.
એશિયા કપ 2025 ફાઈનલ સપ્ટેમ્બરના અંતમાં રમાઈ હતી, પરંતુ ટ્રોફી હજુ પણ દુબઈમાં ACC હેડ ક્વાર્ટરમાં બંધ છે. આના કારણે BCCI ની બેઠકમાં મોહસીન નકવી સામે કાર્યવાહીની માંગણી થઈ શકે છે. એશિયા કપ ફાઈનલ બાદ, વિજેતા ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો.
આ નિર્ણય નકવીના ભારત વિરોધી નિવેદનો સાથે જોડાયેલો હોવાનું કહેવાય છે. ત્યારબાદ નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયો હતો અને હજુ સુધી ટીમ ઈન્ડિયાને ટ્રોફી પરત કરી નથી. વધુમાં, નકવી પાકિસ્તાનનો ગૃહમંત્રી પણ છે અને ગયા વર્ષે જય શાહ ICC ચેરમેન તરીકે ચૂંટાયા ત્યારથી તે ICC ની કોઈપણ બેઠકમાં હાજરી આપી નથી.
આ પણ વાંચો: Womens World Cup 2025 : ICC ની શ્રેષ્ઠ ટીમમાંથી હરમનપ્રીત કૌર બહાર, આ ખેલાડી બની કેપ્ટન